Get The App

મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી ન આપી

પ્રસૂતિ બાદ બાળકની કસ્ટડી એડોપ્શન એજન્સીને સોંપવામાં આવશે : સગીરાને વળતર ચૂકવવા આદેશ

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ હાઇકોર્ટે  સગીરાને ગર્ભપાતની મંજૂરી ન આપી 1 - image

વડોદરા : વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં ગર્ભવતી બનેલી ૧૬ વર્ષની સગીરાએ ગર્ભપાત માટે હાઇકોર્ટમાં મંજૂરી માંગતા હાઇકોર્ટે ની ગર્ભપાતની અરજી પર હાઈકોર્ટે મેડિકલ બોર્ડના રિપોર્ટને ધ્યાને રાખી સગીરાને ગર્ભપાતની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.ન્યાયમૂર્તિએ ચૂકાદામાં નોંધ્યું હતું કે, આ તબક્કે ગર્ભપાત કરવો સગીરાના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, ૧૬ વર્ષની સગીરા સાથે અલગ અલગ સ્થળે છ શખ્સોએ દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની હતી. સગીરાએ ગર્ભપાત માટે  હાઇકોર્ટમાં દાદ માંગતા હાઇકોર્ટે સયાજી હોસ્પિટલના ગાયનેક વિભાગને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. એસ.એસ.જી. હોસ્પિટલના નિષ્ણાત તબીબોની સમિતિએ ૧૧ માર્ચના રોજ સગીરાની તપાસ કરી રિપોર્ટ રજૂ કર્યો હતો.રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે જો અત્યારે ગર્ભપાત કરવામાં આવે તો બાળક જીવિત જન્મે તેવી પૂરી શક્યતા છે, પરંતુ અધૂરા માસે જન્મવાને કારણે બાળકને શ્વાસોશ્વાસની તકલીફ અને એનઆઇસીયુ જેવી ગંભીર સારવારની જરૃર પડી શકે છે.  આ તબીબી અભિપ્રાયને આધારે ન્યાયમૂર્તિએ ગર્ભપાતની મંજૂરી ન આપતા સગીરાની પ્રસૂતિ સુધીની તમામ જવાબદારી તંત્રને સોંપી છે.

હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે, એસ.એસ.જી. હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારીએ સગીરાની ડિલેવરી  સુધી તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને જન્મનારા બાળકની નવજાત શિશુ સંભાળ સુનિશ્ચિત કરવી. પીડિતાની ઈચ્છા મુજબ, જો તે પરિવાર સાથે રહેવા ન માંગતી હોય તો તેને નારી સંરક્ષણ ગૃહમાં ખસેડવા અને તેને શૈક્ષણિક કે વ્યાવસાયિક તાલીમ આપવા સૂચના અપાઈ છે. વધુમાં, રાજ્ય સરકારને પ્રસૂતિના તમામ ખર્ચ અને છ મહિના સુધીના પોષણની જવાબદારી ઉપાડવા તથા ડિસ્ટ્રીક્ટ લીગલ સવસ ઓથોરિટીને પીડિતાને વચગાળાનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. પ્રસૂતિ બાદ બાળકની કસ્ટડી સ્પેશિયલાઈઝ્ડ એડોપ્શન એજન્સીને સોંપવામાં આવશે.