Get The App

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા 1 - image

Jamnagar Hanuman Jayanti : જામનગર શહેરમાં હનુમાન જયંતીના પાવન પર્વની આ વર્ષે ભક્તિભાવ અને ઉમંગ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પ્રખ્યાત બાલા હનુમાનજી મંદિર સહિત વિવિધ હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમોની ધમધમાટ જોવા મળી હતી. મંગળ આરતી, અભિષેક, હવન, વિશેષ પૂજન તથા ભજન-કીર્તનના કાર્યક્રમોમાં ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

બાલા હનુમાનજી મંદિરમાં અખંડ “શ્રી રામ ધૂન”ના ગુંજતા નાદ વચ્ચે ભક્તિનું અનોખું વાતાવરણ સર્જાયું હતું, જ્યાં દિવસભર અને રાત્રિ દરમિયાન પણ ભક્તોની ભારે ભીડ યથાવત રહી હતી. શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા હનુમાનજીના મંદિરોમાં હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ પાઠ, તેમજ મહા આરતીના કાર્યક્રમો ભક્તિપૂર્વક યોજાયા હતા.

આ ઉપરાંત કિસાન ચોક પાસે આવેલા ફુલિયા હનુમાનજી મંદિર ખાતે એક અનોખી ઘટના સામે આવી હતી, જ્યાં મંદિરના પુજારીએ જાહેરમાં સિંદૂર પીતા હોવાનું જોવા મળ્યું હતું. આ ઘટનાએ હાજર ભક્તજનોમાં આશ્ચર્ય સાથે આકર્ષણ પેદા કર્યું હતું.

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા 2 - image

શહેરના વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણ, છાશ-શરબત સ્ટોલ, અન્નક્ષેત્ર તથા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો લાભાન્વિત થયા હતા. કેટલાક સ્થળોએ રક્તદાન કેમ્પ તથા આરોગ્ય ચકાસણી કેમ્પો પણ યોજાયા હતા, જે સેવા અને સમાજપ્રતિ આપણી જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યા હતા.

સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ તથા સ્થાનિક તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી ભક્તજનો સરળતાથી દર્શન કરી શકે અને કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં. ટ્રાફિક વ્યવસ્થાને પણ સુચારૂ રીતે સંભાળવામાં આવી હતી.

આ ઉજવણીમાં શહેરના આગેવાનો, સંતો-મહંતો, રાજકીય અને સામાજિક ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. સમગ્ર જામનગર શહેર ભક્તિ, એકતા અને સંસ્કૃતિના રંગોમાં રંગાઈ ગયું હતું અને હનુમાન જયંતીનો પર્વ સૌ માટે આધ્યાત્મિક આનંદ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યો હતો.