Get The App

ખેતી મદદનીશોને ગાંધીનગર બોલાવવાને બદલે ઇ-મેઇલથી અપાશે નિમણૂક પત્રો, ગુજરાત સરકારનો ઇંધણ બચાવવા માટે નિર્ણય

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
ખેતી મદદનીશોને ગાંધીનગર બોલાવવાને બદલે ઇ-મેઇલથી અપાશે નિમણૂક પત્રો, ગુજરાત સરકારનો ઇંધણ બચાવવા માટે નિર્ણય 1 - image


Gujarat Government Adopts Digital Appointment Letters: વૈશ્વિક સ્તરે વધતી જતી ઇંધણ કટોકટી અને પર્યાવરણીય પડકારો વચ્ચે ગુજરાત સરકારે વહીવટી સ્તરે એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવા અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની વિશેષ અપીલને ઝીલીને સરકારે આ નવતર અભિગમ અપનાવ્યો છે. અગાઉ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મોટા ખર્ચે ભવ્ય કાર્યક્રમો યોજીને નવા પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવતા હતા, જેની જગ્યાએ હવે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે.

માત્ર 28 ઉમેદવારો રૂબરૂ હાજર રહેશે, બાકીનાને ઘેરબેઠા મળશે પત્રો

રાજ્યમાં 414 ખેતી મદદનીશોને સરકારી સેવામાં સામેલ કરવા માટેનો એક વિશેષ કાર્યક્રમ બીજી જૂન 2026ના રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1ના તાપી હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. ઇંધણની બચત કરવાના આશયથી સરકારે તમામ 414 ઉમેદવારોને ગાંધીનગર રૂબરૂ બોલાવીને પેટ્રોલ-ડીઝલનો વ્યય કરવાને બદલે સંપૂર્ણપણે ડિજિટલ અભિગમ અપનાવ્યો છે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માત્ર 28 ઉમેદવારોને જ રૂબરૂ નિમણૂંકપત્રો એનાયત કરાશે. જ્યારે બાકીના અન્ય તમામ ઉમેદવારોને ડિજિટલ માધ્યમથી ઇ-મેઇલ દ્વારા ઘેરબેઠા જ નિમણૂંકપત્રો મોકલી આપવામાં આવશે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના દીકરી અને જમાઈ બન્યા જામનગરના મહેમાન, લોખંડી સુરક્ષાનો મસમોટો કાફલો!

સરકારી નાણાં અને ઇંધણની થશે મોટી બચત

સરકારના આ પગલાના કારણે સેંકડો ઉમેદવારોએ ગાંધીનગર સુધીની લાંબી અને ખર્ચાળ મુસાફરી કરવી નહીં પડે. આ સાથે જ, સરકારને પણ મહાત્મા મંદિર જેવા મોટા સ્થળોએ કરોડો રૂપિયાના ખર્ચે મોટા આયોજનો કરવાથી મુક્તિ મળશે. આમ, ટેક્નોલોજીના સ્માર્ટ ઉપયોગથી સમય, નાણાં અને કિંમતી ઇંધણ ત્રણેયની મોટી બચત થશે.