| (AI IMAGE) |
Gujarat Teachers Boycott Stray Dog Survey: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને શ્વાનોનો સરવે કરવાની કામગીરી સોંપવા અંગે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, તેની સામે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારી સંઘ સંકલન સમિતિએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સંકલન સમિતિએ આ કામગીરીનો સ્પષ્ટપણે બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
શિક્ષકો પર 50 બિન-શૈક્ષણિક કામોનું ભારણ
શિક્ષણ વિભાગને પાઠવેલા પત્રમાં સમિતિએ જણાવ્યું છે કે, હાલમાં શિક્ષકો પાસેથી શિક્ષણ કાર્ય ઉપરાંત અન્ય 50 જેટલી બિન-શૈક્ષણિક કામગીરીઓ લેવામાં આવી રહી છે. શિક્ષકોએ હંમેશા વિદ્યાર્થીઓના હિતની કામગીરી તેમજ ચૂંટણી, આધાર કાર્ડ અને સ્વચ્છતા અભિયાન જેવી સરકારી પ્રવૃત્તિઓમાં રાજ્ય સરકારને પૂરતો સહયોગ આપ્યો છે. જોકે, તારીખ 11-02-2026ના રોજ પ્રસિદ્ધ થયેલા પરિપત્ર મુજબ, સંસ્થાઓ, કચેરીઓ અને કેમ્પસ સહિતના જાહેર વિસ્તારોમાં શ્વાનોની સંખ્યા ગણવાની જવાબદારી શિક્ષકોને સોંપવી એ અયોગ્ય છે.
શિક્ષક સંઘોનું અલ્ટીમેટમ: જાહેર સ્થળોએ સરવેનો ઈનકાર
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને વહીવટી કર્મચારી સંઘના હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું છે કે, જો આ કામગીરી માત્ર જે-તે શાળાના કેમ્પસ પૂરતી સીમિત હોય તો તેમને વાંધો નથી, પરંતુ હોસ્પિટલો, રેલ્વે સ્ટેશનો કે અન્ય જાહેર સ્થળોએ જઈને શ્વાનોનો સરવે કરવાની કામગીરીમાં શિક્ષકો જોડાશે નહીં.


