Inter Caste Marriage Controversy In Patan: ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય લગ્નના વિવાદ બાદ હવે રાધનપુરની લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. ગાયિકાએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરી સોશિયલ મીડિયા પર પોતાની અને પતિની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
જોણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, રાધનપુરના સીનાડ ગામની રહેવાસી સિંગર કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યાં છે. જેને લઈને ગાયિકાએ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ તેને અને તેના પતિને જાનનું જોખમ છે. આ મામલે તેમણે વકીલ મારફતે પોલીસ સુરક્ષાની માગણી કરી છે.
અફવાઓ ન ફેલાવવા અપીલ
કિંજલ રબારીએ સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી છે કે, 'મેં મારા પરિવારને મનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા ન મળતા આખરે લગ્નનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયામાં મારા પતિ સામે ખરાબ ટિપ્પણી કરવામાં આવી રહી છે. મારા લગ્નને લઈને કોઈએ ખોટી અફવા ફેલાવવી નહીં.'
પોલીસ સુરક્ષાની માગ કરતા કિંજલ રબારીએ કહ્યુ કે, 'અમારા લગ્ન બાદ મારૂ અને મારા પતિનું જીવન જોખમમાં હોવાનું લાગી રહ્યું છે. જેથી અમે વકીલ મારફતે પોલીસ સુરક્ષાની માગ કરી છે. મને કે મારા પતિને લાગતા વળગતાને કોઈ નુકસાન થયું તો જવાબદાર મારા પરિવારજનો હશે.'


