Gujarat

ગુજરાતમાં શાળાઓના મૂલ્યાંકન માટે 'SQAAF' અમલી: GCERT આપશે તાલીમ, પણ સ્વ-મૂલ્યાંકનની પારદર્શિતા સામે સવાલો

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
શિક્ષણ વિભાગે NEP 2020ના અમલ માટે 'સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક' (SQAAF) લાગુ કર્યું છે. ગુણોત્સવ 2.0 હવે SQAAFના માપદંડો આધારે યોજાશે. GCERT દ્વારા 5 ઓગસ્ટે BISAG-Nના માધ્યમથી શાળાઓના આચાર્યો અને શિક્ષકો માટે રાજ્યવ્યાપી ઓનલાઈન તાલીમનું આયોજન કરાયું છે. જોકે, SQAAFના સ્વ-મૂલ્યાંકનની પારદર્શિતા અને નબળી શાળાઓમાં સુધારાત્મક કાર્યવાહી સામે પ્રશ્નો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં શાળાઓના મૂલ્યાંકન માટે 'SQAAF' અમલી: GCERT આપશે તાલીમ, પણ સ્વ-મૂલ્યાંકનની પારદર્શિતા સામે સવાલો

Gujarat Schools SQAAF Framework Implementation: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(NEP) 2020ના સુચારુ અમલીકરણ અને રાજ્યની શાળાઓના સર્વગ્રાહી તથા પારદર્શી મૂલ્યાંકન માટે શિક્ષણ વિભાગ દ્વારા 'સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક' (SQAAF) અમલી બનાવવામાં આવ્યું છે. આ નવીન માળખા અંગે તમામ શાળાઓને સજ્જ કરવાના હેતુથી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(GCERT) દ્વારા આગામી 5 ઓગસ્ટના રોજ સવારે 11:00 કલાકે BISAG-Nના માધ્યમથી એક દિવસીય રાજ્યવ્યાપી ઓનલાઈન તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુણોત્સવ 2.0 હવે SQAAFના માપદંડો આધારે યોજાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પૂર્વે યોજાતો ગુણોત્સવ 2.0 કાર્યક્રમ હવે રાષ્ટ્ર કક્ષાના માપદંડો અને NCERTના માર્ગદર્શક માળખાને આધારે તૈયાર કરાયેલ SQAAF મુજબ યોજવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા ગત જૂન માસમાં આ SQAAFનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષ 2026-27થી રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ-ઈન-એઈડ તેમજ ખાનગી શાળાઓના તમામ તબક્કાઓમાં આ માળખું લાગુ કરવામાં આવ્યું છે.

6 ક્ષેત્રો અને 211 માપદંડો પર થશે ગ્રેડિંગ

SQAAF પોર્ટલના માધ્યમથી શાળાઓનું મૂલ્યાંકન મુખ્ય 6 ક્ષેત્રોના 211 માપદંડોના આધારે કરવામાં આવશે. જેમાં અધ્યયન અને અધ્યાપન, મૂલ્યાંકન પદ્ધતિ, શાળા વ્યવસ્થાપન, સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ, શાળાના ભૌતિક અને શૈક્ષણિક સંસાધનો અને શાળા છાત્રાલય (હૉસ્ટેલ) જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ આખરી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ પબ્લિક ડિસ્ક્લોઝરના ભાગરૂપે SQAAF પોર્ટલ પર જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. GCERT દ્વારા તમામ શાળાઓના આચાર્યો અને શિક્ષકોને 5 ઓગસ્ટની તાલીમમાં સક્રિય રીતે જોડાવા અનુરોધ કરાયો છે.

મૂલ્યાંકન અને તાલીમ સામે ઉઠતા ગંભીર પ્રશ્નો

એક તરફ સરકાર શાળાઓનું સ્તર સુધારવા આ નવું માળખું લાગુ કરી રહી છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને વાલીઓમાં આ પ્રક્રિયાની પારદર્શિતા અને અમલીકરણ સામે કેટલાક વ્યાજબી સવાલો ઉભા થઈ રહ્યા છે.

સ્વ-મૂલ્યાંકનની પારદર્શિતા

મૂલ્યાંકનના પ્રથમ તબક્કામાં તમામ શાળાઓએ પોતે જ પોતાનું મૂલ્યાંકન કરીને પોર્ટલ પર ડેટા અપલોડ કરવાનો છે. માત્ર બીજા તબક્કામાં પસંદગીની 33 ટકા શાળાઓનું જ બાહ્ય મૂલ્યાંકન થવાનું હોવાથી, બાકીની 67 ટકા શાળાઓના સાચા પરફોર્મન્સનું ક્રોસ-વેરિફિકેશન કઈ રીતે થશે તે મોટો પ્રશ્ન છે.

માત્ર ડેટા એન્ટ્રી કે વાસ્તવિક શિક્ષણમાં સુધારો?

BISAGના માધ્યમથી ઓનલાઈન તાલીમ આપવી એ વહીવટી પ્રક્રિયાનો ભાગ છે, પરંતુ શું તેનાથી વર્ગખંડના શિક્ષણનું સ્તર બદલાશે? ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે આવી તાલીમો બાદ શિક્ષકો પર માત્ર પોર્ટલ પર માહિતી અપલોડ કરવાનો અને કાગળ પર ગ્રેડિંગ સુધારવાનો બોજ વધી જાય છે, જેનાથી મૂળ શૈક્ષણિક કાર્ય પર અસર પડે છે.

રિપોર્ટ કાર્ડ બાદ શું?

પબ્લિક ડિસ્ક્લોઝર હેઠળ રિપોર્ટ જાહેર કરવાનો નિર્ણય આવકારદાયક છે, પરંતુ જે શાળાઓનું પરિણામ નબળું આવે છે, ત્યાં પૂરતા શિક્ષકો, ભૌતિક સુવિધાઓ કે જરૂરી ગ્રાન્ટ પૂરી પાડવા માટે સરકાર શું પગલાં લેશે? જો નબળી શાળાઓમાં સુધારાત્મક કાર્યવાહી ન થાય, તો આ મૂલ્યાંકન માત્ર કાગળ પરની પ્રક્રિયા બનીને રહી જશે.