Get The App

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવા જેવું

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવા જેવું 1 - image
 AI IMAGE

Gujarat Government Fuel Economy: વૈશ્વિક સ્તરે ખાડી યુદ્ધના વાદળો ઘેરાયા છે ત્યારે ઇંધણના વધતા ભાવ અને સંભવિત અછતને પહોંચી વળવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલના કરકસરયુક્ત વપરાશની અપીલ કરી છે. જોકે, ગુજરાતના સત્તાના ગલિયારાઓમાં આ અપીલને ગંભીરતાથી લેવાને બદલે માત્ર રાજકીય દેખાડો થઈ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

ગાડીઓ ઘટાડી પણ મોહ યથાવત્?

તાજેતરમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વિશાળ કાર કાફલામાંથી બે-ચાર ગાડીઓ ઓછી કરીને એવી હવા ઊભી કરવામાં આવી કે સરકાર ભારે કરકસર કરી રહી છે. પરંતુ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, આ માત્ર જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ છે. કાફલામાં ગાડીઓની સંખ્યા ઘટવાથી પેટ્રોલ-ડીઝલના ખર્ચમાં કોઈ મોટો તફાવત આવતો નથી, કારણ કે મંત્રીઓનો સરકારી ઠઠારો અને વીઆઇપી કલ્ચર હજુ પણ અકબંધ છે.

આ પણ વાંચો : કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત

રાજ્યપાલ આદર્શ, મંત્રીઓને નાનપ

એક તરફ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉમદા ઉદાહરણ પૂરું પાડતા જાહેરાત કરી છે કે, જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી તેઓ શક્ય હોય ત્યાં સુધી એસ. ટી. બસ કે રેલવેમાં મુસાફરી કરશે. રાજ્યપાલની આ સાદગીની પ્રશંસા થઈ રહી છે, ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જેવા નેતાઓ હજુ પણ હેલિકોપ્ટર અને વૈભવી સરકારી કારોના મોહમાંથી બહાર આવી શક્યા નથી. પ્રશ્ન એ ઊભો થાય છે કે જે નેતાઓ પ્રજાની વચ્ચે રહેવાના દાવા કરે છે, તેમને સામાન્ય જનતા સાથે એસ.ટી.માં મુસાફરી કરવામાં નાનપ કેમ લાગે છે?

વર્ચ્યુઅલના જમાનામાં રીબન કટિંગનો શોખ

આજના ડિજિટલ યુગમાં જ્યારે વડાપ્રધાન પોતે અનેક કાર્યક્રમો વર્ચ્યુઅલી કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના મંત્રીઓ નાના લોકાર્પણ કે ઉદ્ઘાટન માટે પણ હેલિકોપ્ટર દોડાવે છે. સચિવાલયમાં બેસીને જે કામ થઈ શકે તેમ છે, તેના માટે સરકારી તિજોરી પર બોજ નાખીને કાર્યક્રમોના તાયફા કરવામાં આવે છે. જનતાને સુફિયાણી સલાહ આપતા નેતાઓ જો પોતે વડાપ્રધાનની અપીલનું પાલન કરી સાચી સાદગી અપનાવે, તો જ લોકોમાં સાચો સંદેશ જશે. બાકી, કાફલામાંથી માત્ર બે ગાડીઓ ઓછી કરવી એ તો માત્ર રાજકીય નાટક બનીને રહી જશે.