Get The App

કરંટ કે દુર્ઘટનાથી વ્યક્તિનું મોત થાય તો વીજ કંપની વળતર ચૂકવવા જવાબદાર : ગુજરાત હાઈકોર્ટ

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
કરંટ કે દુર્ઘટનાથી વ્યક્તિનું મોત થાય તો વીજ કંપની વળતર ચૂકવવા જવાબદાર : ગુજરાત હાઈકોર્ટ 1 - image


 AI IMAGE

Ahmedabad News : ગુજરાત હાઈકોર્ટે વીજ કરંટના કારણે થતા મોતના કિસ્સામાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, વીજળી જેવી જોખમી સેવા પૂરી પાડતી કંપનીઓનીએ જવાબદારી છે કે તેઓ નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખે. જો કોઈ દુર્ઘટના સર્જાય, તો વીજ કંપની વળતર ચૂકવવાની પોતાની નૈતિક અને કાયદાકીય જવાબદારીમાંથી મુક્ત થઈ શકતી નથી.

શું હતો સમગ્ર મામલો?

આ કેસ વર્ષ 1988નો છે, જ્યારે સુરતના રાંદેર રોડ વિસ્તારમાં બે સગા ભાઈઓ મકાનની છત પર ટીવી એન્ટેના રિપેર કરી રહ્યા હતા. આ દરમિયાન એન્ટેનાનો લોખંડનો પાઇપ નજીકથી પસાર થતી હાઈ-ટેન્શન લાઈનના સંપર્કમાં આવતા બંને ભાઈઓના કરુણ મોત નીપજ્યા હતા. આ મામલે ટ્રાયલ કોર્ટે મૃતકના પરિવારને 6 ટકા વ્યાજ સાથે રૂ. 3 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો, જેને વીજ કંપનીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

આ પણ વાંચો : 'અમેરિકા નાકાબંધી નહીં હટાવે તો પછી એક્શન લઇશું..' હોર્મુઝ અંગે ઈરાનની ખુલ્લી ધમકી

હાઈકોર્ટની કડક ટિપ્પણી

જસ્ટિસ જે.સી.દોશીએ વીજ કંપનીની અપીલ ફગાવતા મહત્વના મુદ્દાઓ નોંધ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, મકાન ઉપરથી પસાર થતી હાઈ-ટેન્શન લાઈન પોતે જ એક જોખમ હતું. આ કિસ્સામાં મૃતકોની કોઈ બેદરકારી નહોતી. જો વીજ કંપનીએ લાઈન પૂરતા સલામતી અંતરે રાખી હોત, તો આ દુર્ઘટના નિવારી શકાઈ હોત. વીજળીનું ટ્રાન્સમિશન કરતી સંસ્થાઓએ ઉચ્ચ સ્તરની કાળજી રાખવી ફરજિયાત છે જેથી નિર્દોષ નાગરિકોના જીવ ન જાય.

પરિવારને મળશે ન્યાય

વીજ કંપનીએ દલીલ કરી હતી કે, લાઈન નિયમ મુજબ જ હતી અને મૃતકોની બેદરકારી હતી, પરંતુ હાઈકોર્ટે આ તમામ દલીલો ફગાવી દીધી છે. કોર્ટે ટ્રાયલ કોર્ટના વળતરના હુકમને બહાલ રાખતા મૃતકોના પરિવારજનોને તાત્કાલિક વળતર ચૂકવવા આદેશ આપ્યો છે. આ ચુકાદો ભવિષ્યમાં વીજ કરંટને કારણે થતા અકસ્માતોમાં જવાબદારી નક્કી કરવા માટે એક માર્ગદર્શક મિસાલ બનશે.