Get The App

6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર, પરિવારને બમણું વળતર

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર, પરિવારને બમણું વળતર 1 - image

Gujarat High Court accident compensation 2026: ન્યાય મળવામાં મોડું ભલે થયું, પણ આખરે સત્ય અને ન્યાયની જીત થઈ છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2001 ના એક ભયાનક હાઈવે અકસ્માત મામલે મહત્વનો ચુકાદો આપતા પીડિત પરિવારને મોટું વળતર આપવાનો આદેશ કર્યો છે. ગોંડલની ટ્રિબ્યુનલ કોર્ટે અગાઉ આપેલા વળતરની રકમને હાઈકોર્ટે સીધી બમણી કરતાં પણ વધુ કરી દીધી છે. અકસ્માત બાદ ભોગ બનનાર વ્યક્તિ સતત 6 વર્ષ સુધી કોમામાં રહી હતી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. હાઈકોર્ટે આ કેસમાં પીડિતે ભોગવેલી પીડા, આઘાત અને વેદનાને ધ્યાને રાખીને વીમા કંપનીની ઝાટકણી કાઢીને ચુકવણી કરવા માટે આદેશ કર્યો છે. 

શું હતો સમગ્ર મામલો?

આ કરુણાંતિકા વર્ષ 2001થી શરૂ થઈ હતી. 19 માર્ચ 2001ના રોજ ગોંડલના માર્કેટ યાર્ડમાંથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચલાવતા 45 વર્ષીય ભગવાનજીભાઈ ભૂતાણી પોતાના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઈવે પર એક પૂરપાટ ઝડપે આવી રહેલા મેટાડોર વાહને તેમને જોરદાર ટક્કર મારી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે પંચનામા મુજબ બાઇક મેટાડોરના વ્હીલ વચ્ચે આશરે 15 ફૂટ સુધી ઢસડાયું હતું.

અત્યંત ગંભીર ઇજાઓ થઇ

ભગવાનજીભાઈને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ થઈ હતી. પહેલા ગોંડલ અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં તેમની સારવાર કરાઈ, પરંતુ તેઓ ક્યારેય સાજા ન થઈ શક્યા. તેઓ આખી જિંદગી પથારીવશ અને કોમામાં જ રહ્યા અને આખરે 2 મે 2006ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. પૉસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મોતનું કારણ કોમા અને બ્રેઈન ઈન્જરીના કારણે હાર્ટ ફેલ થવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડનો પાકિસ્તાનમાં ખાતમો! અજ્ઞાત હુમલાખોરોએ ઓફિસમાં ઘૂસીને ગોળી મારી

કોર્ટની લાંબી કાનૂની લડાઈ

2001માં ભગવાનજીભાઈના પત્ની ચંપાબેન અને પુત્રએ વળતર માટે ક્લેમ પિટિશન દાખલ કરી. 2014 માં 13 વર્ષ પછી ગોંડલ ક્લેમ ટ્રિબ્યુનલે 5.13 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું, પરંતુ મૃતકની પણ 10% બેદરકારી ગણીને રકમ કાપી લીધી. પરિવાર આ અપૂરતા વળતર સામે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. 2026 માં (11 વર્ષ પછી) હાઈકોર્ટમાં અંતિમ સુનાવણી થઈ અને જસ્ટિસ નિશા ઠાકોરે પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. 

હાઈકોર્ટે વીમા કંપનીની દલીલો ફગાવી

વીમા કંપનીના વકીલે એવી દલીલ કરી હતી કે, અકસ્માત નેશનલ હાઈવે પર થયો હતો અને મૃતક માર્કેટ યાર્ડમાંથી હાઈવે પર આવી રહ્યા હતા, તેથી તેમણે ધ્યાન રાખવું જોઈતું હતું. વળી ટ્રિબ્યુનલે જે વળતર આપ્યું છે તે યોગ્ય છે. જો કે, હાઈકોર્ટે વીમા કંપનીની આ દલીલોને સખત શબ્દોમાં ફગાવી દીધી હતી. જસ્ટિસ નિશા ઠાકોરે નોંધ્યું કે, વીમા કંપની પાસે એવો કોઈ કાનૂની પુરાવો નથી જે સાબિત કરે કે મૃતક બેદરકારીપૂર્વક બાઇક ચલાવી રહ્યા હતા. બાઇક 15 ફૂટ ઢસડાઈ તે જ દર્શાવે છે કે મેટાડોરની સ્પીડ ખુબ વધારે હતી. કોર્ટે મૃતકની 10% ભૂલ ગણવાના ટ્રિબ્યુનલના નિર્ણયને ભૂલભરેલો ગણાવી મેટાડોર ચાલકને જ સંપૂર્ણ દોષિત માન્યો છે.

હવે પરિવારને કુલ કેટલું વળતર મળશે?

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કેસને માત્ર ઈજાનો કેસ ન ગણી શકાય, પરંતુ જીવલેણ અકસ્માતનો કેસ ગણવો જોઈએ, કારણ કે ઈજાના કારણે જ વ્યક્તિનું મોત થયું છે. કોર્ટે ફક્ત પીડા, આઘાત અને વેદનાના હેડ હેઠળ જ 3 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું, કારણ કે વ્યક્તિ 6 વર્ષ સુધી કોઇ હલનચલન કર્યા વગર વેજિટેટિવ હાલતમાં રહ્યો હતો. હાઈકોર્ટે ટ્રિબ્યુનલના વળતરમાં 6.99 લાખ રૂપિયાનો વધારો કરવાનો આદેશ આપ્યો છે. 

વ્યાજ સાથે રકમ ચુકવવા માટે આદેશ 

વધારાની રકમ અરજી કર્યાની તારીખથી 7.5% વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. આ સાથે હવે પરિવારને મળવાપાત્ર કુલ વળતરની રકમ 12.12 લાખ રૂપિયા પર પહોંચી છે. કોર્ટે વીમા કંપનીને આગામી 6 અઠવાડિયામાં આ રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે અને ગોંડલ ટ્રિબ્યુનલને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ આ રકમ વારસદારોને વહેંચવા જણાવ્યું છે.