Get The App

આસારામના આશ્રમની હાર: ગુજરાત હાઇકોર્ટે કહ્યું- 'નિયમો તોડ્યા છે, જમીન સરકારને સોંપવી જ પડશે'

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
આસારામના આશ્રમની હાર: ગુજરાત હાઇકોર્ટે કહ્યું- 'નિયમો તોડ્યા છે, જમીન સરકારને સોંપવી જ પડશે' 1 - image


Asaram Ashram Demolition : ગુજરાત હાઇકોર્ટે અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી વિવાદિત જમીન મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગરવાલ અને ન્યાયાધીશ ડી. એન. રેની ડિવિઝન બેન્ચે આસારામ આશ્રમ ટ્રસ્ટની તમામ અપીલો ફગાવી દેતાં હવે 45,000 ચોરસ મીટરથી વધુ કિંમતી જમીન રાજ્ય સરકારના હસ્તક પરત આવશે.

સ્પોર્ટ્સ હબ તરીકે વિકસશે મોટેરા

આ જમીન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બિલકુલ નજીક આવેલી છે. હાઇકોર્ટના આ નિર્ણય બાદ હવે આ વિસ્તારને શહેરના ભવિષ્યના 'સ્પોર્ટ્સ હબ' તરીકે વિકસાવવામાં આવશે. રાજ્ય સરકાર માટે આ જમીનનો કબજો કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ભવિષ્યના ઓલિમ્પિક આયોજન માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં મહત્ત્વની કડી સાબિત થશે.

આસારામના આશ્રમની હાર: ગુજરાત હાઇકોર્ટે કહ્યું- 'નિયમો તોડ્યા છે, જમીન સરકારને સોંપવી જ પડશે' 2 - image

શરતોનો ભંગ અને જમીન પચાવી પાડવાનું કારસ્તાન

કેસની વિગતો મુજબ, દાયકાઓ પહેલા ધાર્મિક હેતુ માટે આશ્રમને આશરે 33,980 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. જોકે, સરકારે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા કે આશ્રમે શરતોનો ભંગ કરીને વાસ્તવિક કબજો 50,000 ચોરસ મીટર સુધી વધારી દીધો હતો. સરકારે GPS અને સેટેલાઇટ મેપિંગ દ્વારા સાબિત કર્યું કે આશ્રમે મોટા પાયે સરકારી અને નદીની જમીન દબાવી દીધી છે.

હાઇકોર્ટનો કડક અભિગમ

ડિવિઝન બેન્ચે અગાઉના સિંગલ જજના ચુકાદાને યોગ્ય ઠેરવતા નોંધ્યું હતું કે સરકારી શરતોનો વારંવાર ભંગ કરનારને કોઈ રાહત આપી શકાય નહીં. આશ્રમે સ્ટે મેળવવા માટે વર્ષો જૂના કબજાની દલીલ કરી હતી, પરંતુ ન્યાયાધીશોએ સ્પષ્ટ કર્યું કે ગેરકાયદેસર દબાણને કાયદેસર કરી શકાય નહીં.

હવે શું થશે?

આ ચુકાદા સાથે જ હવે આશ્રમ પર બુલડોઝર ફરવાનો અને જમીન ખાલી કરાવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. સરકાર આ જમીનનો કબજો મેળવીને ત્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂ કરવાની તૈયારીમાં છે.