Get The App

ટિકિટો વહેંચી કે વેચી? કોંગ્રેસમાં માનીતા ફાવ્યા, વફાદારો રહી ગયા, પ્રદેશ નેતાઓ સવાલોના ઘેરામાં

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
ટિકિટો વહેંચી કે વેચી? કોંગ્રેસમાં માનીતા ફાવ્યા, વફાદારો રહી ગયા, પ્રદેશ નેતાઓ સવાલોના ઘેરામાં 1 - image


Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીને લઈને પ્રદેશ નેતાઓ સામે આંગળી ઉઠી છે. ટિકિટો ફાળવવામાં આવી છે કે વેચવામાં આવી છે? તેવો સવાલ ઉઠ્યો છે, કારણ કે પાયાના સનિષ્ઠ કાર્યકરોની અવગણના કરાઈ છે જ્યારે મામકાઓને કોર્પોરેટર બનવા માટે તક અપાઈ છે.

પેરાશૂટીયાને કોર્પોરેટરની તક 

છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે તેમ છતાંય પ્રદેશ નેતાઓ શીખ લેવા તૈયાર નથી. સામાન્ય કાર્યકરો પક્ષની વિચારધારા સાથે જોડાઈને સરકાર સામે બાથ ભીડી રહ્યા છે, જ્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સરકાર સાથે રાજકીય ફિક્સિંગ કરી રહ્યા છે તેવા આક્ષેપ થયા છે.

નારાજ કાર્યકરોનું કહેવું છે કે, ધારાસભ્યના ડ્રાઈવરોને પણ ટિકિટ આપી દેવાઈ છે જ્યારે પક્ષ માટે લોહી રેડનારા વફાદાર કાર્યકરોને મહત્ત્વ અપાયું નથી. અમદાવાદ શહેરમાં એટલી હદે આંતરિક વિખવાદ જામ્યો કે 10થી વધુ વોર્ડના ઉમેદવાર જ જાહેર કરાયા નથી. ફોનથી ઉમેદવારોને જાણ કરવી પડી હતી. પ્રદેશ નેતાઓએ પોતાનું ધાર્યું જ કર્યું હતું. આ વખતે પણ કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સામે ફાવે તેમ લાગતું નથી.