Umreth by Election: ગુજરાતના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આણંદ જિલ્લાની ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ભાજપે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ ગોવિંદભાઈ પરમારને ટિકિટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
પિતાના અવસાન બાદ પુત્રને મળી ટિકિટ
ઉલ્લેખનીય છે કે, ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકના કારણે આકસ્મિક નિધન થયું હતું. તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપ હાઇકમાન્ડે સહાનુભૂતિ અને સ્થાનિક સમીકરણોને ધ્યાને રાખીને ગોવિંદ પરમારના વારસાને આગળ ધપાવવા તેમના પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
મહત્ત્વનું છે કે, આણંદ જિલ્લાની આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા પેટાચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ટિકિટની જાહેરાત થતાં જ ઉમરેઠ પંથકમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતની પેટા ચૂંટણીની તમામ વિગતો
- ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: 30.03.2026 (સોમવાર)
- ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ: 06.04.2026 (સોમવાર)
- ઉમેદવારની ચકાસણી કરવાની તારીખ: 07.04.2026 (મંગળવાર)
- ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: 09.04.2026 (ગુરુવાર)
- મતદાનની તારીખ: 23.04.2026 (ગુરુવાર)
- ચૂંટણી પરિણામ (મતગણતરી) તારીખ: 04.05.2026 (મંગળવાર)


