Get The App

પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા 1 - image


Godhra APMC: પંચમહાલ જિલ્લાના ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે. ભાજપ શાસિત આ સંસ્થામાં સત્તાવાર મેન્ડેટ જાહેર થતાની સાથે જ બંને પદ પર બિનહરીફ વરણી કરવામાં આવી છે.

ધારાસભ્ય સી.કે. રાઉલજીના પુત્ર માલવદીપસિંહને સોંપાઈ કમાન

ગોધરા APMCના ચેરમેન તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીના પુત્ર માલવદીપસિંહ રાઉલજીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે વાઈસ ચેરમેન તરીકે શામાતસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે. ચેરમેન અને વાઈસ ચેરમેનનો અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતા આજે આ નવી વરણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો

ભાજપના મેન્ડેટ સાથે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ

ગોધરા APMCના મીટિંગ હોલ ખાતે જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટેના નામોનું મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું હતું. પક્ષ દ્વારા જાહેર કરાયેલા નામો સામે અન્ય કોઈ સભ્યોએ ફોર્મ ન ભરતા, બંને પદ પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

સમર્થકોમાં ખુશીનો માહોલ

બિનહરીફ વરણી થતાની સાથે જ APMC પરિસરમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. ફટાકડા ફોડી અને એકબીજાને મોઢું મીઠું કરાવીને આ જીતની ઉજવણી કરવામાં આવી હતી. નવા નિમાયેલા ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ ખેડૂતોના હિતમાં અને બજાર સમિતિના વિકાસ માટે સતત કાર્યરત રહેવાની નેમ વ્યક્ત કરી હતી.