Gujarat

વૉટ્સઅપ પર મોકલેલી ફોટાવાળી ચલણી નોટ લાવનારને પૈસા આપી દો

By GS Team
29 Nov 20212 mins read
This article was originally published on 29 Nov 2021
વૉટ્સઅપ પર મોકલેલી ફોટાવાળી ચલણી નોટ લાવનારને પૈસા આપી દો

લાંચ લેવાની નવી મોડસ ઓપરેન્ડી

આવકવેરા ખાતામાં કરપ્શન ઘટતું જ નથી, સરકાર જેટલી ચુસ્ત બને તેટલા નવા કીમિયાઓ અધિકારીઓ શોધી કાઢે છે

અમદાવાદ : દરોડાના કેસમાં કે દરોડાના કેસમાં અપીલ કરનારાઓના કેસમાં આવકવેરા અધિકારીઓએ વોટ્સ અપ પર ચલણી નોટ્સ મોકલીને તે ચલણી નોટ લઈ આવનાર મારફતે આંગડિયા પેઢી મારફતે લાંચના પૈસા મંગાવી લેવાની મોડસ ઓપરેન્ડી અપનાવી હોવાનું આવકવેરા ખાતા સાથે સંકળાયેલા અધિકારીઓનું જ કહેવું છે.

દરોડા પાડનારા વિભાગમાં બહુ જ મોટું કરપ્શન ચાલતું હોવાથી દરોડા અંગેની વિગતો પણ અધકચરી જ જાહેર કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે. ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઈટના કૌભાંડમાં સંડોવાયેલા અને તાજેતરના ભૂતકાળમાં જ દરોડા હેઠળ આવેલા એક ડેવલપરે તગડું બિનહિસાબી નાણું એકત્રિત કર્યું હોવા છતાં તેનો કેસને બહુ જ સિફતથી દબાવી દેવામાં આવ્યો છે.

કરદાતાઓના અન્ય એસેસમેન્ટ પેસલૅસ થાય છે. પરંતુ દરોડાના કેસમાં કરવામાં આવતી આકારણીના કિસ્સાઓમાં કે પછી ટ્રાન્સફર પ્રાઈસિંગના કેસોમાં આજની તારીખે પણ એસેસમેન્ટ માટે ફેસ ટુ ફેસ મિટિંગ થાય છે. આ પ્રકારના કિસ્સાઓમાં આવકવેરા અધિકારીઓ સીધી લાંચ લેતા નથી. તેઓ જે તે આંગડિયાને એક ચલણી નોટનો ફોટો મોકલી દે છે.

આ ફોટાવાળી ચલણી નોટ જે વ્યક્તિ લઈને આવે તેને કંઈપણ પૂછ્યા વિના જે નક્કી થયેલી હોય તે રકમ આપી દેવાની હોય છે. આ રકમ આપતી વખતે આંગડિયા પેઢીના માણસો જે ચલણી નોટનો ફોટો મોકલવામાં આવ્યો હોય છે ત ે ચલણી નોટ પોતાના હાથમાં લઈ લે છે. જેથી કરીને કોઈ બીજીવાર પૈસા લેવા આવી શકે જ નહિ. 

ટ્રાન્સફર પ્રાઈસિંગમાં પણ કંપનીઓ ઓછો નફો બતાવવા માટે જાતજાતના ખેલ કરે છે. તેમના કેસની આકારણી પણ ફેસ ટુ ફેસ જ થાય છે. તેમની સાથે જે અધિકારીઓને પનારો પડે છે તે અધિકારીઓને ટ્રેપ થઈ જવાનો ભય લાગે છે. તેથી તેઓ પોતાના હાથમાં કરપ્શનના નાણાં એટલે કે લાંચરૂશ્વતના નાણાં લેતા જ નથી.

તેઓ તેમના કોઈ માણસને મોકલીને આંગડિયા પેઢી મારફતે તે નાણાં મેળવી છે. અમદાવાદના અધિકારીઓ જયપુર, મુંબઈ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશના કોઈ શહેરમાંની આંગડિયા પેઢીએ પોતાના માણસોને મોકલીને કરપ્શન મની કલેક્ટ કરાવે છે. પરિણામે તેમને સીધી લાંચ લીધી હોવાનું પ્રસ્થાપિત થતું નથી. 

તેથી જ દરોડા પાડવાના વિભાગમાં નોકરી કરવાની તક મળ્યા પછી તેમાંથી તેમની ટ્રાન્સફર ન થાય તે માટે સંબંધિત અધિકારીઓ પોતાની તમામ ક્ષમતાને તથા તમામ ઓળખને કામે લગાડી લેતા હોય છે. તાજેતરના મહિનાઓમાં અમદાવાદના એક અધિકારીની મધ્ય પ્રદેશમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ અધિકારીએ તેની તમામ ઓળખને કામે લગાવી લઈન ેતેની ટ્રાન્સફર 48 કલાકમાં જ રદ કરાવી લીધી હતી.