Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં માછરડા સોસાયટીમાં રહેતી અને મૂળ ઉપલેટા તાલુકાના ખીરસરા (વડાળી) ગામની વતની એવી નવ પરણીત યુવતી નીતાબેન ભરતભાઈ પરમાર (ઉ.વ.30)એ પરમદીને બપોરે પોતાના ઘેર એસિડ પી લેતાં બેશુદ્ધ બની હતી. તેણીને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે તેણીના પ્રેમી પતિ ભરતભાઈ નરશીભાઈ પરમારએ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉનના પી.એસ.આઇ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને નીતાબેનના મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ પૂછપરછમાં મૃતક નીતાબેન કે જેણે ભરતભાઈ પરમાર સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા, અને પોતાના પરિવાર સાથે સંબંધ તોડીને કાલાવડ ટાઉનમાં રહેવા માટે આવી ગઈ હતી. દરમિયાન પતિ ભરતભાઈએ પોતાના પરિવાર સાથે સંબંધો ચાલુ રાખ્યા હતા, જેથી પત્નીએ જણાવ્યું હતું કે મેં મારા તમામ પરિવાર સાથે સંબંધો કાપી નાખ્યા છે, તમે પણ કાપી નાખો.
જે બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, અને પતિ પોતાના ઘેરથી નોકરી પર ચાલ્યા ગયા હતા, તે જમવા માટે નહીં આવતાં નિતાબેન કે જે ગરમ મિજાજની હોવાથી આવેશમાં આવી જઇ ઘરમાં પડેલું એસીડ પી લીધું હતું. તેથી તેણીનું મૃત્યુ નીપજ્યું છે. જે મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઇ રહી છે.


