Get The App

જનતાને ‘શિખામણ’, નેતાઓને ‘છૂટછાટ’? ગુજરાત સરકારના નવા ઈંધણ નિયમો સામે લોકોમાં રોષ

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
જનતાને ‘શિખામણ’, નેતાઓને ‘છૂટછાટ’? ગુજરાત સરકારના નવા ઈંધણ નિયમો સામે લોકોમાં રોષ 1 - image

Gandhinagar News: રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPGની અછત વચ્ચે ઊભી થયેલી અફરાતફરીને શાંત પાડવા માટે રાજ્ય સરકારે કેટલીક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જો કે, સરકારના આ સૂચનોએ સોશિયલ મીડિયા અને જનતામાં એક નવી ચર્ચા છેડી દીધી છે. સરકાર એક તરફ પૂરતો જથ્થો હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ ગ્રાહકોને 'કેવી રીતે રાંધવું' અને 'એસી કેટલા પર ચલાવવું' તેની સલાહ આપી રહી છે.

સરકારના નવા ‘નિયમો’ શું છે?

સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો છે, છતાં સર્વર પરનો લોડ ઘટાડવા અને વ્યવસ્થા જાળવવા માટે નીચે મુજબના નિયમોનું પાલન કરવું પડશે

ગેસ બુકિંગમાં અંતર: શહેરી વિસ્તારોમાં બે સિલિન્ડર વચ્ચે 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસનું અંતર રાખવું પડશે.

રાંધવાની પદ્ધતિ: કઠોળ પલાળીને રાંધવા, કુકરનો ઉપયોગ કરવો અને સોલર કુકર જેવા વૈકલ્પિક સ્ત્રોતો અપનાવવા.

AC પર નિયંત્રણ: ઘરમાં ઉર્જા બચાવવા માટે ACનું તાપમાન 25°C કે તેથી વધુ રાખવું.

જનતાના વેધક સવાલો: શું આ નિયમો નેતાઓ માટે નથી?

સરકારની આ શિખામણ સામે સામાન્ય નાગરિકોમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, શું આ નિયમો માત્ર જનતા માટે જ છે?

1- નેતાઓનો કાફલો ક્યારે ઓછો થશે?

સામાન્ય માણસને એક-એક લિટર ઈંધણ બચાવવાની સલાહ આપતી સરકારના મંત્રીઓ અને નેતાઓ શું પોતાના 8-10 ગાડીઓના કાફલામાં ઘટાડો કરશે? શું તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને પ્રજા માટે ઉદાહરણ પૂરું પાડશે?

2- વહીવટી નિષ્ફળતા કે માત્ર સંચાલન?

એક તરફ સરકાર કહે છે કે જથ્થો પૂરતો છે, તો બીજી તરફ બુકિંગ પર મર્યાદા કેમ? જો વ્યવસ્થા યોગ્ય હોય તો પ્રજાને 'શું રાંધવું અને કેવી રીતે રાંધવું' તેની શિખામણ આપવાની જરૂર કેમ પડી?

3- સુવિધાઓમાં કાપ માત્ર પ્રજા માટે?

ગૃહિણીઓ સવાલ કરી રહી છે કે મોંઘવારીના માર વચ્ચે હવે રસોડામાં પણ સરકારના આદેશ મુજબ ચાલવાનું? જ્યારે સરકારી કચેરીઓમાં ચાલતા હાઈ-વોલ્ટેજ AC અને લક્ઝરી સુવિધાઓમાં ક્યારે કાપ આવશે?

આ પણ વાંચો: મોંઘા પેટ્રોલ-ડીઝલને કારણે ગુજરાતીઓનો સ્માર્ટ નિર્ણય, ડિલિવરી બોય અને યુવાનોમાં ઈ-વ્હિકલનો ક્રેઝ વધ્યો

સરકારની આ એડવાઈઝરી ભલે વ્યવસ્થા જાળવવા માટે હોય, પણ નૈતિક રીતે તે ત્યારે જ સ્વીકાર્ય બને  જ્યારે સત્તાધિશો પોતે આનો અમલ કરીને પ્રજાને રાહ ચીંધશે. ઈંધણની તંગી સામે લડવા માટે પ્રજાનો સહકાર જરૂરી છે, પણ તે સહકાર જોર-જબરદસ્તીથી કે 'શિખામણ' આપીને નહીં, પરંતુ સમાન જવાબદારીથી મેળવવો જોઈએ.