Get The App

ગાંધીનગરમાં ACBની મેગા ટ્રેપ: ₹5 લાખની લાંચ લેતા ક્લાસ-1 ઓફિસર ઝડપાયા, દરોડામાં ₹2.64 કરોડની સંપત્તિ મળી

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
ગાંધીનગરમાં ACBની મેગા ટ્રેપ: ₹5 લાખની લાંચ લેતા ક્લાસ-1 ઓફિસર ઝડપાયા, દરોડામાં ₹2.64 કરોડની સંપત્તિ મળી 1 - image

Gandhinagar Crime News : ગુજરાતમાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. ગાંધીનગરમાં ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ-વન અધિકારી અશ્વિન બી. ચૌધરી (એ.બી.ચૌધરી) ને ₹5 લાખની મસમોટી લાંચ લેતા રંગેહાથ દબોચી લેવામાં આવ્યા છે. એસીબીના આ સફળ છટકા બાદ જ્યારે અધિકારીના અલગ-અલગ લોકેશન પર દરોડા પાડવામાં આવ્યા, ત્યારે ત્યાંથી મળેલી બેનામી સંપત્તિ જોઈને ખુદ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

સોલાર પેનલની મંજૂરી માટે માંગી હતી લાંચ

મળતી વિગતો અનુસાર, એક અરજદારે સોલાર પેનલ લગાવવા માટે જરૂરી એનઓસી (NOC - નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવાનું હતું. આ સત્તાવાર મંજૂરી આપવાના અવેજમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીએ ₹5 લાખની ગેરકાયદેસર માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીએ વોચ ગોઠવીને ક્લાસ-વન ઓફિસરને લાંચની રોકડ રકમ સ્વીકારતા જ ઝડપી લીધા હતા. આ ₹5 લાખની લાંચની રકમ અધિકારીની લક્ઝરી કારમાંથી જ મળી આવી હતી.

સુરત અને અમદાવાદની મિલકતો પર એસીબી ત્રાટકી

ધરપકડ બાદ એસીબીની અલગ-અલગ ટીમો દ્વારા આરોપી અધિકારીના ગાંધીનગર, અમદાવાદ અને સુરત સ્થિત રહેઠાણો પર એકસાથે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તપાસનું મુખ્ય કેન્દ્ર સુરતના વી.આઈ.પી. રોડ પર વેસુ વિસ્તારમાં આવેલી પોશ સોસાયટી 'શિલ્પ રેસિડેન્સી' નું મકાન નંબર બી-405 રહ્યું હતું.

ઘરો અને ગાડીઓમાંથી શું-શું મળ્યું?

અધિકારીના ઘર અને વાહનોના ખૂણે-ખૂણેથી એસીબીને કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે, જેની વિગતો નીચે મુજબ છે:

બિનહિસાબી રોકડ: તપાસ દરમિયાન જુદા-જુદા સ્થાનો પરથી કુલ ₹1 કરોડ 76 લાખ ની માત્ર રોકડા રૂપિયા જ મળી આવ્યા છે.

સોના-ચાંદીના દાગીના: અંદાજે ₹88 લાખ 82 હજાર ની કિંમતના કિંમતી સોના અને ચાંદીના દાગીના જપ્ત કરાયા છે.

ગિફ્ટ વાઉચર: ઘરમાંથી ₹5 લાખ 51 હજાર ની કિંમતના રોકડ મૂલ્ય ધરાવતા ગિફ્ટ વાઉચર્સ પણ મળી આવ્યા છે.

એસીબીએ આ દરોડા દરમિયાન લાંચિયા અધિકારી પાસેથી કુલ ₹2 કરોડ 64 લાખ ની અધધ મતા (મુદ્દામાલ) કબજે કરી છે. હાલમાં એસીબી દ્વારા અધિકારી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તેમની અપ્રમાણસર મિલકતો અંગેની તપાસનો દોર વધુ તેજ કરવામાં આવ્યો છે.