- અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાની માંગ
- દિવસમાં 10 થી વધુ વખત ટ્રેન આવવાના 15 મિનિટ પહેલા બંધ કરી દેવાતા વાહનોની લાઇનો લાગતા રોષ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના મૂળી-ટીકર મુખ્ય માર્ગ પર આવેલું રેલવે ફાટક વાહનચાલકો માટે મોટી મુસીબત બન્યું છે. દિવસમાં અનેકવાર લાંબા સમય સુધી ફાટક બંધ રહેતા સરા, સડલા અને દુધઈ સહિતના ગામોના ખેડૂતો તથા મુસાફરો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવાની નોબત આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં રેલવે ફાટક હવે વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ બન્યો છે. ખાસ કરીને મૂળીથી ટીકર જતા માર્ગ પરથી રાજકોટ, જામનગર અને દ્વારકા તરફ જતી અસંખ્ય ટ્રેનો પસાર થાય છે. દિવસમાં ૧૦થી વધુ વખત આ ફાટક બંધ કરવામાં આવે છે. ટ્રેન આવવાના ૧૫ મિનિટ પહેલા જ ફાટક બંધ કરી દેવામાં આવતા વાહનોની લાંબી લાઇનો લાગે છે.
આ માર્ગ પર મૂળી તાલુકાના સરા જેવા મોટા યાત્રાધામ સહિત અનેક ગામોના ખેડૂતો પોતાની જણસ લઈને પસાર થતા હોય છે. એસટી બસો અને ખાનગી વાહનો પણ ફાટકના કારણે સમયસર પહોંચી શકતા નથી. સ્થાનિકો અને ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. હાલમાં રેલવે વિભાગ દ્વારા અન્ય સ્થળોએ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ ફાટક પર પણ સત્વરે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવી ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા લોકમાંગ ઉઠી છે.


