Get The App

વાહનનું ટાયર બદલાવી રહેલા ચારને અન્ય વાહને કચડયા, 3 યુવકનાં મોત

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
વાહનનું ટાયર બદલાવી રહેલા ચારને અન્ય વાહને કચડયા, 3 યુવકનાં મોત 1 - image

લાલપુરના સણોસરી ગામ પાસે ગમખ્વાર અકસ્માત

પંક્ચર પડતાં રાત્રિના અંધારામાં માર્ગની સાઇડમાં ટાયર બદલી રહ્યા હતા ત્યારે બનેલા બનાવમાં એક તરૂણની હાલત ગંભીર

જામનગર, લાલપુર: જામનગર- લાલપુર ધોરી માર્ગ પર સણોસરી ગામના પાટીયા પાસે ગત મોડી રાત્રે ગોઝારી દુર્ઘટના થઇ હતી. એક બોલેરોના ટાયરમાં પંકચર પડી જતાં તેમાં બેઠેલા ચાર યુવાનો નીચે ઉતરીને ટાયર બદલી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય બોલેરોના ચાલકે ચારેયને કચડી નાખતાં ત્રણના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે એક તરુણ ગંભીર અવસ્થામાં સારવારમાં છે. 

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ખાયડી ગામમાં રહેતા કમલેશભાઈ નારણભાઈ ગાગીયા (ઉં.વ.૩૫), સંદીપ દિનેશભાઈ ગોજીયા (ઉ.વ.૧૯), ભરત લખમણભાઈ ડાંગર (ઉ.વ.૨૧) અને  શ્યામભાઈ અશોકભાઈ ગાગીયા (ઉ.વ.૧૬) ગઈકાલે બોલેરોમાં બેસીને લાલપુર તાલુકાના સણોસરી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બોલેરાના ટાયરમાં પંકચર પડી જતા રાત્રિના ૧૨ વાગ્યાના અરસામાં ચારે'ય બોલેરોમાંથી નીચે ઉતરીને માર્ગની સાઇડમાં ટાયર બદલી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા અન્ય બોલેરોના ચાલકે ચારે'યને હડફેટેમાં લઈ કચડી નાખતાં ભારે ચીસાચીસ થઈ ગઈ હતી અને હાઇવે ચિચિયારીથી ગાજી ઉઠયો હતો.

આ ગોઝારા અકસ્માતમાં કમલેશભાઈ, સંદીપભાઈ અને ભરતભાઈ ત્રણે'યના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જયારે શ્યામભાઈ ગાગીયા ને વધુ ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા હતા. 

આ અકસ્માતની જાણ થતાં લાલપુરની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા, ત્યારે ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. લાલપુર પોલીસે અકસ્માત સર્જનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધ્યો છે, જે પોતાનું વાહન છોડીને ભાગી છુટયો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.