Baroda Dairy Election : બરોડા ડેરીની ચૂંટણીના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી મુદત પૂરી થઈ રહી છે ત્યારે વધુ એક ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં હવે કુલ 13માંથી 9 બેઠક બિનહરીફ થઈ છે.
બરોડા ડેરીની આગામી તા.18 માર્ચ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ છે ત્યારે કરજણની બેઠકના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, ડેરીના પૂર્વ ચેરમેન તેમજ પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયાને મૌખિક મેન્ડેટ મળતા તેમની સામે ફોર્મ ભરનાર ભાજપના જયદીપસિંહ ચૌહાણ તેમજ અન્ય એક ઉમેદવાર પ્રકાશ પટેલ દ્વારા ઉમેદવારી પત્રો પાછા ખેંચવામાં આવ્યા છે. જેથી કરજણનો ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ઉપરાંત તિલકવાડા ઝોનના ડિરેક્ટર જ્યોતીન્દ્રસિંહ પરમાર પણ બિનહરીફ થયા છે.
અત્યાર સુધી કુલ 13માંથી 9 બેઠક બિનહરીફ હતા બાકીની પાંચ બેઠક માટે રસાકસી જામી છે. આ બેઠકો ઉપર ફોર્મ કેટલા લોકો પાછા ખેંચે છે ત્યાર પછી સાંજે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. આ બેઠકોમાં વડોદરા તાલુકો, ડભોઇ, ડેસર અને પાવીજેતપુરનો સમાવેશ થાય છે.


