Gujarat

જામનગરના બર્ધનચોકના 'નૉ હોકિંગ ઝોન' એરિયામાં ફેરીયાઓને દૂર કરવાની કાર્યવાહીથી નાસભાગ

By GS Team
29 Oct 20211 min read
This article was originally published on 29 Oct 2021
જામનગરના બર્ધનચોકના 'નૉ હોકિંગ ઝોન' એરિયામાં ફેરીયાઓને દૂર કરવાની કાર્યવાહીથી નાસભાગ

- મોટી સંખ્યામાં પોલીસ તંત્ર અને એસ્ટેટ શાખાની ટુકડી દ્વારા ફેરીયાઓને ખસેડવા કાર્યવાહી હાથ ધરાઇ

જામનગર,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર

જામનગરના બર્ધન ચોક જેવા ભરચક વિસ્તાર કે જ્યાં 'નૉ હોકિંગ ઝોન' જાહેર કરાયું છે, જે સ્થળે અનેક ફેરિયાઓ તેમજ પથારાવાળાઓ અડીંગો જમાવીને બેસે છે. જેને આજે દૂર કરવા માટે નું ઓપરેશન હાથ ધરાયું હતું, અને એસ્ટેટ શાખા તથા પોલીસ તંત્રએ તમામ ફેરિયાઓને ખસેડવાની કાર્યવાહી હાથ ધરતાં ભારે નાસભાગ થઈ છે.

જામનગર શહેરના બર્ધનચોક વિસ્તાર કે જેને સુપ્રીમકોર્ટની ગાઈડલાઈન મુજબ 'નૉ હોકિંગ ઝોન' જાહેર કરાયો છે. પરંતુ તેમ છતાં તેનો સરેઆમ ભંગ કરીને અનેક ફેરિયાઓ અને પથારા વાળાઓ અડીંગો જમાવીને પડ્યા રહે છે. જેઓને દૂર કરવા માટે આજે તંત્ર મેદાને પડ્યું હતું.

દિવાળીના તહેવારોને અનુલક્ષીને ખૂબ જ ગીચ અને ભીડભાડવાળા વિસ્તારમાં લોકોને પારાવાર મુશ્કેલી ન પડે તેના અનુસંધાને આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ સીટી-એ ડિવિઝનના વિશાળ પોલીસ કાફલાએ ઓપરેશન હાથ ધર્યું હતું. નૉ હોકિંગ ઝોન વાળા બર્ધન ચોક એરિયામાં મોટા પાયે પાથરણાવાળાઓ દબાણ કરીને વેપાર ધંધો કરે છે. જેને દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં ભારે નાસભાગ થઇ હતી. એસ્ટેટ શાખા અને પોલીસ તંત્રએ કડક હાથે કામ લઇ ફેરિયાઓને ખસેડવા તેમજ કેટલાક દુકાનદારોએ પોતાનો માલ સામાન બહાર નહીં રાખવા માટેની સુચના આપવામાં આવી રહી છે.