Gujarat

જામનગર શહેરમાં ફાયરનું એન.ઓ.સી. મેળવ્યા વિના સ્ટોર ચાલુ થઈ જતાં ફાયર ખાતાની તપાસ

By GS Team
30 Oct 20211 min read
This article was originally published on 30 Oct 2021
જામનગર શહેરમાં ફાયરનું એન.ઓ.સી. મેળવ્યા વિના સ્ટોર ચાલુ થઈ જતાં ફાયર ખાતાની તપાસ

- ખોડીયાર કોલોની રોડ સહિતના વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ફાયર એન.ઓ.સી. વગરના 17 સ્ટોલ મળી આવ્યા

જામનગર,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર 

જામનગર શહેરમાં ફટાકડાના વેચાણ માટેના અનેક સ્ટોલો ઉભા થઈ ગયા છે, જેમાં ફાયર સેફ્ટીની એન.ઓ.સી. મેળવાયું ન હોવાનું ધ્યાનમાં આવતાં ફાયર તંત્ર દોડતું થયું છે, અને જુદા જુદા વિસ્તારમાં તપાસણી દરમિયાન 17 જેટલા સ્ટોલ ધારાકોએ એન.ઓ.સી. મેળવ્યું ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જે મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ શાખાની ટુકડી દ્વારા શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ઉપરાંત ગોકુલ નગર રડાર રોડ સહિતના વિસ્તારોમાં અનેક સ્થળો પર ફટાકડાના સ્ટોલ ઉભા થઇ ગયા છે, અને જાહેર રોડ પર હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ શરૂ કરી દેવાયું છે. જે સ્થળો પર ચેકિંગ દરમિયાન કુલ 17 જેટલા સ્ટોલ ધારકો એ ફાયર વિભાગનું એન.ઓ.સી. મેળવ્યું ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જેથી સ્થળ પર પહોંચેલી ફાયર વિભાગની ટીમ દ્વારા જામનગરની ફાયર શાખામાં તે અંગેનો રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરના અન્ય જુદા જુદા વિસ્તારોમાં પણ ફાયરસેફ્ટી મુદ્દે ચકાસણી કરવામાં આવી રહી છે. ફાયર તંત્રની આ કાર્યવાહીને લઇને ફટાકડાના વિક્રેતાઓમાં અફડા-તફડી મચી ગઇ છે.