Get The App

અંતે, જૂનાગઢની 19 વસાહતમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
અંતે, જૂનાગઢની 19 વસાહતમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ 1 - image

ખામધ્રોળ રોડ અને જોષીપરા વિસ્તારમાં અમલ જ્યાં લોકમાગણી છે એવા ભવનાથ, ઉપરકોટ, જગમાલ ચોક, મીરાનગર, દોલતપરા સહિતના વિસ્તારોમાં લાગુ ન થતાં નારાજગી

જૂનાગઢ, : રાજ્ય સરકારના આદેશ બાદ જૂનાગઢના ખામધ્રોળ રોડ, જોષીપરાની અમુક સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જ્યારે વર્ષોથી જગમાલ ચોક, ઉપરકોટ રોડ, સુખનાથ ચોક, દોલતપરા, મીરાનગર, ભવનાથ, વિધાતાનગર સહિતના અનેક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માંગ કરવામાં આવી રહી હતી પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં ન આવતા મોટી નારાજગી ઉભી થઈ છે.

જૂનાગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી અશાંતધારો લાગુ કરવાની હિન્દુ સંગઠનો, જૈન સમાજ, ભાજપના આગેવાનો સહિતનાઓ દ્વારા માંગ કરવામાં આવતી હતી. કેટલાય વર્ષોની રજુઆત બાદ અંતે સરકાર દ્વારા આજે સત્તાવાર રીતે જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારની પાંચ અને ખામધ્રોળ રોડ પરની 14 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરી દીધો છે. સ્થાનકવાસી જૈન સમાજના પ્રમુખ હિતેષ સંઘવીએ જણાવ્યું કે, જગમાલ ચોક કે જે વિસ્તારમાં વર્ષોથી જૈન દેરાસરો છે તથા ઉપરકોટ વિસ્તાર કે જ્યાં પૌરાણીક રામ મંદિર છે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા છેલ્લા 14 વર્ષથી રજુઆત કરવામાં આવી રહી છે છતાં પણ સરકારે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કર્યો નથી. ભાજપના અગ્રણીઓએ જણાવ્યું કે, હજુ અનેક વિસ્તારમાં તેમાંય ખાસ મીરાનગર, ભવનાથ, ઉપરકોટ, જગમાલ ચોક વિસ્તારમાં તાત્કાલીક અશાંતધારો લાગુ કરવો જરૂરી છે. આ પ્રથમ તબક્કો છે હજુ આગામી સમયમાં બાકીના વિસ્તારમાં પણ અશાંતધારો લાગુ કરાવશું. જે સોસાયટીઓમાં અશાંતધારો લાગુ થયો છે ત્યાં તા.18-2-2026 થી તા. 17-2-2031 સુધી તે વિસ્તારને અશાંતક્ષેત્ર તરીકે જાહેર કરાયો છે.