Get The App

નડિયાદ મહાનગરપાલિકમાં ભાજપના નવા નિયમોથી ધુરંધરોની ટિકિટ કપાવવાની ભીતિ

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદ મહાનગરપાલિકમાં ભાજપના નવા નિયમોથી ધુરંધરોની ટિકિટ કપાવવાની ભીતિ 1 - image

- વગ જાળવી રાખવા સગા-સંબંધીઓના નામે દાવેદારી શરૂ

- પરિવારવાદ અને ૩ ટર્મની થિયરીમાં ફસાતા નેતાઓએ લોહીના સંબધ ન હોય તેવા દૂરના સંબંધોનો સહારો લીધો

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર પસંદગીના માપદંડો કડક બનાવતા જ સ્થાનિક રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સતત ૩ ટર્મથી સત્તા ભોગવતા અને પરિવારવાદના નિયમમાં ફસાતા ધુરંધર નેતાઓએ પોતાની રાજકીય વગ જાળવી રાખવા માટે હવે વચ્ચેના રસ્તા શોધવાનું શરૂ કરી દીધું છે. પક્ષના ટોચના નેતૃત્વને અંધારામાં રાખીને પોતાના માનીતા અને રબ્બર સ્ટેમ્પ કહી શકાય તેવા ઉમેદવારો તેમજ લોહીના સંબંધોમાં ન આવતા હોય તેવા દૂરના સંબંધીઓને આગળ ધરીને દાવેદારી કરાવવામાં આવી રહી છે.

નડિયાદ મહાનગરપાલિકાની કુલ ૫૨ બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ વચ્ચે સંગઠનમાં હોદ્દો ધરાવતા અને વર્ષોથી પાલિકામાં પદ ભોગવતા નેતાઓએ હવે મોટા નેતાઓના શરણે જઈ પોતાની ગોઠવણ તેજ કરી દીધી છે. ભાજપે પરિવારવાદ પર રોક લગાવતા સીધા પરિવારના સભ્યોને ટિકિટ મળવી મુશ્કેલ છે, જેના કારણે અનેક નેતાઓએ પોતાની બહેન, બનેવી, ભાભી કે એવા સંબંધીઓના નામ રજૂ કર્યા છે જેમને સીધી રીતે પરિવારના સભ્ય તરીકે પ્રસ્થાપિત કરવા મશ્કેલ હોય. આ પ્રકારના સંબંધોનો ઉપયોગ કરીને નેતાઓ પાછલા બારણે પોતાની સત્તા ચાલુ રાખવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક નેતાઓએ પોતાના વફાદાર કાર્યકરોને રબ્બર સ્ટેમ્પ ઉમેદવાર તરીકે તૈયાર કર્યા છે. જો પક્ષ નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની વાત કરે તો આ રબ્બર સ્ટેમ્પ ઉમેદવારોને ટિકિટ અપાવીને પડદા પાછળથી પોતે જ વહીવટ ચલાવી શકે તેવો વ્યૂહ ઘડવામાં આવ્યો છે. 

૫૨ ઉમેદવારોની પસંદગીમાં પક્ષના શિસ્તબદ્ધ અને સક્ષમ કાર્યકરોને અન્યાય ન થાય તે જોવાની જવાબદારી નિરીક્ષકો પર રહેશે. નેતાઓ દ્વારા અપનાવવામાં આવેલી આ ચાલાકીને કારણે પક્ષના પાયાના કાર્યકરોમાં પણ અંદરખાને રોષ જોવા મળી રહ્યો છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનો ભંગ ન થાય અને છતાં પોતાનું ધાર્યું કરી શકાય તે માટે નડિયાદના રાજકારણમાં જે પ્રકારે આંતરિક ખેલ ખેલાઈ રહ્યા છે. તેનાથી સંગઠન પણ મૂંઝવણમાં મુકાયું છે. જે નેતાઓની ટિકિટ ૬૦ વર્ષની વય મર્યાદા કે નો-રિપીટ થિયરીને કારણે કપાઈ રહી છે. તેઓ હવે સત્તાના સૂત્રો પોતાના જ હાથમાં રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. આગામી દિવસોમાં જ્યારે ઉમેદવારોના નામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે કે પ્રદેશ નેતૃત્વ આ સ્થાપિત હિતોની જાળ કાપવામાં સફળ રહે છે કે નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવામાં સફળ થાય છે.