અમદાવાદના ધોળકામાં ચાંદીના રોકાણના નામે 10 કરોડની ઠગાઇ કરનાર પિતા-પુત્ર ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News : અમદાવાદ જિલ્લાના ધોળકામાં જ્વેલરી શોપ ધરાવતા ઘનશ્યામ સોની અને અન્ય આરોપીઓએ થોડા મહિના પહેલા ચાંદીમાં થયેલા ભાવ વધારામાં રોકાણ કરવાનું કહીને 10 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ કેસમાં ફરાર પિતા પુત્રની ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે.
ધોળકામાં કલીકુંડ વિસ્તારમાં આવેલી ઋક્ષમણી સોસાયટીમાં રહેતા અને ધોળકામાં હરિ જ્વેલર્સ નામની શોપ ધરાવતા ઘનશ્યામ સોની અને તેમના પુત્ર દીપ અને યશ સોનીએ ગત નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં જ્યારે ચાંદીના ભાવ તેજીનો માહોલ હતો. ત્યારે તેમના ગ્રાહકો અને અન્ય લોકોને ચાંદીમાં રોકાણ કરીને ઉંચો નફો કમાવી આપવાની ખાતરી આપી હતી.
જેથી 40 જેટલા લોકોએ કુલ 10.67 કરોડ જેટલી માતબર રકમનું રોકાણ કર્યું હતું. પરંતુ, ત્યારબાદ પિતા પુત્રો દુકાન અને ઘરને તાળા મારીને ફરાર થઇ ગયા હતા. તેમને શોધવામાં સ્થાનિક પોલીસને સફળતા મળી નહોતી. જેથી કેસની તપાસ ગ્રામ્ય એલસીબીને સોંપવામં આવી હતી. જેમાં પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે ઘનશ્યામ અને યશ સોનીને ઝડપી લીધા હતા. આરોપીઓએ રોકાણકારોને 30 ટકા સુધી વળતરની ખાતરી આપી હતી.
હાલ બંનેના પાંચ દિવસના રિમાન્ડ મેળવીને ૧૦ કરોડ ઉપરાંતની માતબર રકમ કઇ રીતે અને ક્યા ક્યા સગેવગે કરી છે? તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.









