Gujarat

ઘંટોડી ગામના ખેડૂતોની ડૂબમાં ગયેલ જમીન અંગે ઉપવાસની ચિમકી

By GS Team
30 Oct 20211 min read
This article was originally published on 30 Oct 2021
ઘંટોડી ગામના ખેડૂતોની ડૂબમાં ગયેલ જમીન અંગે ઉપવાસની ચિમકી

અંબાજી,તા.29

દાંતા તાલુકાના ઘંટોડી ગામના ખેડૂતો કે જેઓ જ્યારે ધરોઈ ડેમ બનતો હતો તે વર્ષો દરમિયાન તંત્રને સહકાર આપી પોતાના ખેતરો ડૂબમાં જવા દીધા હતા. તે સમય દરમિયાન સરકાર દ્વારા આ ખેડૂતોને અન્યત્ર જમીનો આપવાની ખાત્રી આપી હતી. પરંતુ વર્ષોના વહાણાં વહી ગયા અને ખેડૂતોને જમીનો ન મળી. આ મુદ્દે આ ગામના ખેડૂતો દ્વારા હાલમાં ઉપવાસ ઉપર બેઠા છે.

દાંતા તાલુકાના ઘંટોડી ગામ સહિતના આજુબાજુ ગામના ૯૦ જેટલા ખાતેદાર  ખેડૂતોએ જે-તે સમયે ધરોઈ ડેમ બનતો હતો તે સમયે પોતાના ખેતરો તંત્રને આપ્યા હતા. અને આમ ખેડૂતો દ્વારા ડેમ બનાવવા સહકાર આપ્યો હતો અને તે સમયે સરકાર દ્વારા ડૂબમાં ગયેલ જમીનોના વળતર પેટે નજીકમાં અન્યત્ર જમીનો આપવાની ખાત્રી સરકાર દ્વારા આપવામાં આવી હતી. આ વાતને વર્ષો વિતવા છતાં અને જમીનો લેવા આ ગામોના ખેડૂતોએ સરકારી કચેરીઓમાં ધરમ-ધક્કા ખાવા છતાં તેનો કોઈ યોગ્ય નિકાલ ન આવતાં આ ગામના ખેડૂતો ધરોઈ ડેમની કચેરી સામે ઉપવાસ ઉપર ઉતરેલ છે. છતાં સરકારના પેટનું પાણી ન હાલતાં આજ રોજ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ ઉપવાસી ખેડૂતોના સ્થળની મુલાકાત લઈ અને જો સત્વરે આનો ઉકેલ ન આવે તો પોતે ખેડૂતોની સાથે ઉપવાસ ઉપર ઉતરશે તેવી લેખિત ફરિયાદ કલેક્ટરને  જાણ કરી છે.