- કંપની નિર્ધારિત કોરિડોરની બહાર કામગીરી કરતી હોવાનો આક્ષેપ
- નોટિસ વગર ઉભા પાક પર જેસીબી ફેરવી દેતા ખેડૂતોને લાખોનું નુકસાન : આંદોલનની ચીમકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર સીમ વિસ્તારમાં પાવરગ્રીડ કંપનીના અધિકારીઓની મનસ્વી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કચ્છથી શરૂ થયેલી હાઈટેન્શન વીજ લાઈન હવે સુરેન્દ્રનગરના મુળી, ધ્રાંગધ્રા અને વઢવાણ પંથકમાંથી પસાર થઈ રહી છે.
જોકે, રાજપર ગામે પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓએ કોઈપણ પૂર્વ નોટિસ કે કલેક્ટરના હુકમ વગર ખેડૂતોના ખેતરોમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ખેડૂતોએ રાત-દિવસ મહેનત કરીને વાવેલા જીરું, ચણા, વરિયાળી અને ઘઉંના ઉભા પાક પર જેસીબી અને ભારે મશીનરી ફેરવી દેવામાં આવતા ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની નિર્ધારિત કોરિડોરને બદલે અન્ય જગ્યાએ કામગીરી કરી રહી છે.
ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવી કામગીરી અટકાવવામાં આવી છે. વિરોધ કરી રહેલા ખેડૂતોની માગ છે કે કંપની કલેક્ટરનો કામગીરીનો પત્ર રજૂ કરે અને યોગ્ય કોરિડોરમાં જ કામગીરી થાય. એકતરફ ખેડૂતોને જમીન અને પાક નુકસાનીનું પૂરતું વળતર મળતું નથી, ત્યારે બીજી તરફ દાદાગીરીપૂર્વક ખેતરોમાં પ્રવેશ કરી તૈયાર પાકને રુંધવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા આ ગેરકાયદે કામગીરી રોકવામાં નહીં આવે અને નુકસાનીનું યોગ્ય વળતર નહીં અપાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિએ ધરતીપુત્રોમાં વહીવટી તંત્ર અને કંપની સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


