Farmers in Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લામાં પહેલી મેથી ટેકાના ભાવે મકાઈની ખરીદી શરૂ કરવાના સરકારના દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનોમાં હજુ સુધી ખરીદી પ્રક્રિયા શરૂ ન થતાં જગતનો તાત મજબૂરીમાં ખાનગી વેપારીઓને ઓછા ભાવે પાક વેચવા મજબૂર બન્યો છે.
તંત્રની અગમચેતીનો અભાવ
નસવાડી તાલુકા અન્ન અને પુરવઠા વિભાગના ગોડાઉન મેનેજરના જણાવ્યા અનુસાર, મકાઈનો સંગ્રહ કરવા માટે હાલ પૂરતી વ્યવસ્થા નથી. મકાઈની ખરીદી માટે હજુ એપીએમસી(APMC)ના ગોડાઉનો ભાડે લેવાની પ્રક્રિયા બાકી છે. એક ખેડૂત પાસેથી કેટલી મકાઈ લેવી અથવા કેટલા ખેડૂતોની નોંધણી કરવી, તે અંગે કોઈ સત્તાવાર પરિપત્ર કે જાણકારી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.
ખેડૂતોને આર્થિક ફટકો
સરકારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ 2400 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કર્યો છે. જોકે, સરકારી ખરીદી શરૂ ન થતાં,ખેડૂતો બજારમાં ખાનગી વેપારીઓને માત્ર 1800 રૂપિયાના ભાવે મકાઈ વેચી રહ્યા છે. ખેડૂતોને સીધું જ પ્રતિ ક્વિન્ટલ 600 રૂપિયાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સમયસર ખરીદીના અભાવે દેવાના બોજ તળે દબાયેલા ખેડૂતો વધુ આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે.
બમણી આવકની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ
ખેડૂતોની આવક બમણી કરવાના બણગા ફૂંકતી સરકાર જ્યારે ખેડૂતોનો મોલ તૈયાર હોય ત્યારે જ ખરીદીમાં વિલંબ કરે છે, જે વરવી વાસ્તવિકતા રજૂ કરે છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને પકવેલો પાક જ્યારે સસ્તા ભાવે વેચવો પડે છે, ત્યારે ખેડૂતોમાં સરકારની નીતિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, વહીવટી તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે ખેડૂતોની મકાઈ ટેકાના ભાવે ખરીદવાની પ્રક્રિયા ખરેખર અમલમાં મૂકે છે.


