Gujarat

મતદાર યાદીનું માત્ર સમરી રિવિઝન કરવાનો ૨૦૦૩નો નિર્ણય કચરાપેટીમાં ફેંકી દેવાયો

By GS TEAM
27 Jan 20262 mins read
મતદાર યાદીનું માત્ર સમરી રિવિઝન કરવાનો ૨૦૦૩નો નિર્ણય કચરાપેટીમાં ફેંકી દેવાયો

વડોદરાઃ ૩૦ વર્ષની મહેનત બાદ ૨૦૦૩માં ડિજિટાઈઝેશન કરીને મતદાર યાદીમાં ૯૯ ટકા સુધીનો ચોકસાઈ ચૂંટણી પંચે હાંસલ કરી હતી.તે વખતે એવો નિર્ણય લેવાયો હતો કે, હવે પછી મતદાર યાદીનું ઈન્ટેન્સિવ રિવિઝ નહીં બલ્કે સમરી રિવિઝન જ કરવામાં આવશે પણ વર્તમાન ચૂંટણી પંચે ૨૦૦૩માં લેવાયેલા નિર્ણયને કચરાપેટીમાં પધરાવી દીધો છે તેમ ભારતના પૂર્વ ઈલેક્શન કમિશનર ડો.વાય એસ કુરેશીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું.

પારુલ યુનિવર્સિટીમાં શરુ થયેલા ત્રણ દિવસના લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે આવેલા ડો.કુરેશીએ કહ્યું હતું કે, સમરી રિવિઝનમાં બીએલઓએ દરેક ઘરે મતદાર યાદી બતાવીને મતદારોના નામ બરાબર છે કે નહીં તે જ ચેક કરવાનું હતું પણ ઘૂસણખોરોને કાઢવા માટે વર્તમાન ચૂંટણી પંચે જટિલ પ્રક્રિયા શરુ કરીને તમામ લોકોને દોડાવવાનું શરુ કર્યું છે.આ પ્રક્રિયા ચૂંટણી પંચ માટે ગળાની ફાંસ બની જશે.બિહારમાં ૮ કરોડ લોકોને મતદાર યાદી રિવાઈઝ કરવાના નામે દોડાવીને ચૂંટણી પંચ માંડ ૧૫૦ ઘૂસણખોરોને શોધી શકી છે.આ પ્રક્રિયા અંગેની ફરિયાદોને બીએલઓ સ્તરે જ અટકાવી દેવાય છે.આ જ સરકાર ૨૦૧૪ અને ૨૦૧૯માં જૂની મતદાર યાદીના આધારે ચૂંટણી જીતી હતી તો અચાનક જ સઘન સુધારણા અભિયાન શરુ કરવાનું કેમ શરુ કરાયું?

તેમણે આગળ કહ્યું હતું કે, ઈવીએમનો મેં કાયમ બચાવ કર્યો છે પણ ઈવીએમનો સૌથી વધારે વિરોધ ૨૦૦૯માં ભાજપે જ કર્યો હતો.અત્યાર સુધી તો ઈવીએમ સુરક્ષિત છે પણ આગળની ગેરંટી હું આપી શકતો નથી.અન્ય એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, વન નેશન- વન ઈલેક્શનના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે.જોકે લોકોને આ ગમે છે કે નહીં તે જાણવું જરુરી છે.