Elder Abuse in Ahmedabad: બુઢાપાની લાઠી જ્યારે સહારો બનવાના બદલે ફટકા મારે... પેટે પાટા બાંધી જેમને મોટા કર્યા તે જ સંતાનો સામે જ્યારે બે ટંકના ભોજન માટે હાથ ફેલાવવા પડે! તેવા સમયે કેટલાક વડીલ માતા-પિતાને આખરે કોર્ટ-કચેરીના દરવાજા ખખડાવવાનો વારો આવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં સંતાનો દ્વારા અપાતા શારીરિક અને માનસિક ત્રાસથી છૂટકારો મેળવવા તેમજ ભરણપોષણ માટે અમદાવાદ શહેરના 452 વડીલોએ સિટી ડેપ્યુટી કલેક્ટર સમક્ષ અરજી કરી મદદની ગુહાર લગાવી છે.
2007નો કાયદો અને વડીલોનું રક્ષણ
માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ હેઠળ વર્ષ 2007થી વડીલોને તેમના સંતાનો અથવા પરિવારના સભ્યો દ્વારા કરાતા અન્યાય સામે રક્ષણ આપવાનું શરૂ કરાયું હતું. જે અંતર્ગત વડીલો દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરી શકાય છે. કેટલાક વર્ષો સુધી તો આવી ફરિયાદોની સંખ્યા નજીવી હતી. પરંતુ છેલ્લાં પાંચેક વર્ષમાં તેમાં મોટો ઉછાળો આવ્યો છે.
અમદાવાદમાં ફરિયાદોનો 4 ગણો ઉછાળો
આ અંગે મળતી માહિતી મુજબ, વર્ષ 2021માં પશ્ચિમ અમદાવાદમાં 23 માતા-પિતા દ્વારા સંતાનો સામે અરજી કરાઈ હતી. જે સંખ્યા વર્ષ 2025માં વધીને 85 એટલે ચારેક ગણી થઈ ગઈ હતી. જ્યારે પૂર્વ અમદાવાદમાં વર્ષ 2021માં કરાયેલી 33 ફરિયાદો વર્ષ 2025માં દોઢેક ગણી વધીને 52એ પહોંચી ગઈ હતી. જેના પાછળ સંયુક્તના બદલે વિભક્ત કુટુંબનો આગ્રહ અને બદલાઈ રહેલા સામાજિક અને પારિવારિક મૂલ્યો જવાબદાર હોવાનું મનાય છે. વાલીઓની અરજી બાદ બંને પક્ષોને સાંભળી એસડીએમ દ્વારા માતા-પિતાની સારસંભાળ રાખવા તથા મહિને 5,000થી 10,000 હજાર ભરણપોષણ ચૂકવવા સંતાનોને હુકમ કરાય છે.
મહિને એક લાખ પગાર છતાં માતા-પિતાને જમવાનું ન આપતા હોવાના પણ કિસ્સા
ફરિયાદોના નિકાલમાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી જાય છે. ત્યારે આ પ્રક્રિયા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, માતા-પિતાને ત્રાસ અપાતો હોય તેવા કિસ્સા શહેરી વિસ્તારમાંથી વધુ સામે આવે છે. વાલીઓએ આખી ઉંમર મહેનત કરી બાળકોને ભણાવીને વિદેશ મોકલ્યા બાદ ત્યાં જઈને કેટલાક સંતાનો માતા-પિતા સાથે સંપર્ક તોડી દેતા હોય છે. બીજી બાજુ મહિને 1,00,000 પગાર હોવા છતાં માતા-પિતાને જમવાનું ન આપતા હોવાના કિસ્સા પણ સામે છે. મોટાભાગે બે કે ત્રણ સંતાનો હોય તેવા સંજોગોમાં વાલીઓની સારસંભાળ કોણ રાખશે? તે મુદ્દે વિવાદ થતો હોય છે.


