Get The App

અમદાવાદઃ વિદ્યાર્થીએ બદલો લેવા સહપાઠીના પાણીમાં કપૂર ભેળવ્યું, પોલીસનું ચોંકાવનારું નિવેદન

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદઃ વિદ્યાર્થીએ બદલો લેવા સહપાઠીના પાણીમાં કપૂર ભેળવ્યું, પોલીસનું ચોંકાવનારું નિવેદન 1 - image


Ahmedabad News : અમદાવાદમાં ધોરણ 6માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં, એક વિદ્યાર્થીની પાણીની બોટલમાં લુગ્દી અને ડામરનું મિશ્રણ ભેળવી દીધું હોવાનો દાવો કરાતા હોબાળો મચી ગયો હતો. મણિનગરમાં આવેલી દુર્ગા વિદ્યાલયમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જે માત્ર સ્કૂલો અને વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે. 

સામાન્ય બોલાચાલી બાદ બદલો લેવા વિચિત્ર હરકત

અમદાવાદની દુર્ગા વિદ્યાલયમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં બે વિદ્યાર્થી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં, એક વિદ્યાર્થીની પાણીની બોટલમાં કથિત રીતે લુગ્દી અને ડામરનું મિશ્રણ ભેળવી દીધું હતું. આ પાણી પીધા બાદ વિદ્યાર્થીની તબિયત લથડી હતી અને તેને ઉલટીઓ થવા લાગી હતી. જે બાદ શાળા સંચાલકોએ CCTV ફૂટેજ તપાસતા તેમાં એક વિદ્યાર્થી છૂપી રીતે બીજા વિદ્યાર્થીની બેગ પાસે જઈ બોટલમાં કથિત રીતે કંઈક ભેળવતો કેદ થયો હતો. સદનસીબે બાળકને કોઈ ગંભીર શારીરિક અસર થઈ નથી, પરંતુ જો કોઈ જીવલેણ કેમિકલ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. જો કે હવે સમગ્ર મામલે પોલીસનો ખુલાસો આવ્યા બાદ સમગ્ર ઘટના સ્પષ્ટ થઇ છે. 

વાલીઓ પણ વિચારતા થયા

આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ઘટનાની ગંભીરતાને જોતા બંને પક્ષના વાલીઓને બોલાવી કડક સૂચના અપાઈ છે અને તકેદારીના ભાગરૂપે બંને વિદ્યાર્થીઓના સેક્શન બદલી નાખવામાં આવ્યા છે. માસૂમ ગણાતી ઉંમરે બદલો લેવાની આ હિંસક માનસિકતાએ શિક્ષણ જગતની સાથે વાલીઓમાં ચિંતા જન્માવી છે. હાલ તો બાળકોની હિસાત્મક માનસીકતાનો વધારો એક કિસ્સો સામે આવતા વાલીઓ પણ વિચારતા થયા છે.

અમદાવાદઃ વિદ્યાર્થીએ બદલો લેવા સહપાઠીના પાણીમાં કપૂર ભેળવ્યું, પોલીસનું ચોંકાવનારું નિવેદન 2 - image

સમગ્ર મામલે પોલીસનો ખુલાસો

પોલીસે જણાવ્યા મુજબ, મીડિયામાં આ અહેવાલ પ્રકાશિત થયા પછી અમે તપાસ કરી હતી. આ ઘટના ગઈકાલની નથી પરંતુ ગત 28 જાન્યુઆરીના રોજ બની હતી. જે તે વિદ્યાર્થીએ કોઈ ડામર કે ઝેરી ગોળી પીધી નહોતી, પરંતુ તેની પાસે કપૂરની ગોળીઓ હતી જે તેણે બોટલમાં ભરી હતી અને તેની સુગંધ આવતા તેણે અન્ય બે મિત્રોને સુંઘાડી હતી તથા શિક્ષકને જાણ કરી હતી. સાવચેતીના ભાગરૂપે શાળા પ્રશાસને તેને તાત્કાલિક પીડિયાટ્રિશિયન પાસે તપાસ માટે મોકલ્યો હતો, પરંતુ બાળકની તબિયત બગડી નથી અને તે અત્યારે સંપૂર્ણ સ્વસ્થ છે. આ બાબતે DEOએ શાળા પાસે લેખિત જવાબ માંગ્યો છે અને બાળકો સામે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.

આ પણ વાંચો :US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ ન્યૂઝ! ચીન-પાકિસ્તાન રહી ગયા પાછળ