Pardi News : વલસાડના પારડીના ડુમલાવ ગામે આજે(1 માર્ચ, 2026) જાહેર રજા હોવા છતાં ખાસ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. જેમાં ગામમાં નવી કંપનીની સ્થાપના અને અંડરગ્રાઉન્ડ નહેર સામે લોકોએ ભારે વિરોધ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. ગ્રામસભામાં ખેડૂતો સહિતના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનોએ આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ
ખેડસત્યાગ્રહનો જે ગામથી પ્રારંભ થયો હતો તે પારડીના ડુમલાવ ગામે આજે રવિવારે ખાસ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. સરપંચ પ્રકાશ પટેલ, સભ્યો, આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડુમલાવ ગામે નવી કંપનીની સ્થાપનાને કારણે પર્યાવરણ અને લોકોને થનારી અસરને લઈ નવી કંપની નહીં સ્થાપવા ચર્ચા કરાઈ હતી. સ્થાનિકોએ કહ્યું કે, ડુમલાવ સંપૂર્ણ આદિવાસી વિસ્તાર હોવાથી અનુસૂચિ પાંચમા આવતો હોવાથી નવી કંપની કે રહેણાંક પ્રોજેક્ટ માટે ગ્રામસભાની મંજૂરી લેવાની હોય છે. જેને લઈ લોકોએ કંપનીને પરવાનગી નહીં આપવા એકસુરે જણાવ્યું હતું.
યોગ્ય પગલા ન લેવાય તો આંદોલનની ચિમકી
આ ઉપરાંત ગામમાં અંડરગ્રાઉન્ડ નહેર બનાવવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ તે અંગે પણ લોકોએ ભવિષ્યમાં ખેડૂતને પાણીના મુદ્દે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એમ જણાવી વિરોધ નોંધાવ્યો હતો. સભામાં વિરોધ બાદ ગ્રામજનોએ સંબધિત વિભાગને કોપી મોકલવાની કામગીરી હાથ ધરી હતી. તંત્ર દ્વારા ઉકેલ નહીં લેવાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી હતી.
આ મામલે ગામના સરપંચ પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, ખેડસત્યાગ્રહના આંદોલનને કારણે આ વિસ્તારના લોકોને જમીન મળી હતી. ખેડૂતોની જમીન બચાવવા અંડર ગ્રાઉન્ડ કામગીરી થશે નહીં અને નવા રહેણાંક કે કંપનીના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે નહીં.


