Get The App

અમદાવાદ પૂર્વમાં લોકોના આક્રોશના કારણે એક ડઝનથી વધુ વોર્ડમાં ઉમેદવારો મુંઝવણમાં,ઉલટફેર થવાની સંભાવના

ધારાસભ્યોએ સુચવેલા ઉમેદવારો સામે પક્ષના કાર્યકરો ઉપરાંત સ્થાનિક મતદારોની નારાજગી ભારે પડી શકે છે

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ પૂર્વમાં લોકોના આક્રોશના કારણે એક ડઝનથી વધુ વોર્ડમાં ઉમેદવારો મુંઝવણમાં,ઉલટફેર થવાની સંભાવના 1 - image

અમદાવાદ,શુક્રવાર,24 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાશે. પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે.આમ છતાં અમદાવાદ પૂર્વના એક ડઝનથી વધુ વોર્ડમાં લોકોમાં પ્રાથમિક સુવિધાથી લઈ કયાંક ઉમેદવારો સામે પણ આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે.આ કારણથી આ વખતે કોર્પોરેશનની ચૂંટણીના પરિણામમાં ઉલટફેર થવાની સંભાવના છે.કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોએ સુચવેલા ઉમેદવારો સામે પક્ષના કાર્યકરો ઉપરાંત સ્થાનિક મતદારોની નારાજગી ભારે પડી શકે છે એમ ભાજપના આંતરીક સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

છેલ્લા ૨૧ વર્ષથી ભાજપ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા સ્થાને છે.આમ છતાં આટલા વર્ષોમાં કોર્પોરેશનની આ પહેલી ચૂંટણી છે.જેમાં ભાજપના ઉમેદવારોને કાર્યકરોથી લઈ જે તે વોર્ડના મતદારોના રોષનો સામનો કરવો પડી રહયો છે.કાર્યકરોમાં જે નારાજગીનો સૂર જોવા મળી રહયો છે.તેમાં મુખ્યત્વે પક્ષના કાર્યકરોની અવગણના કરી સ્થાનિક ના હોય તેવા બહારના ઉમેદવારોને જે તે વોર્ડમાં ટિકીટ આપવામા આવી છે. આ ઉપરાંત બીજો વિરોધ જ્ઞાાતિ આધારીત પણ જોવા મળી રહયો છે. શહેરના સૈજપુર સહિત અન્ય વોર્ડ વર્ષોથી ભાજપના ગઢ હોવાછતાં સિંધી સમાજને ટિકીટ આપવામા આવી નહી હોવાને કારણે મતદારોમાં નારાજગી જોવા મળી રહી છે.મોટાભાગના વોર્ડમાં રોડ,ગટર અને પાણીની સમસ્યા હાલમા પણ યથાવત હોવાથી  કેટલાક વોર્ડ તો એવા પણ છે કે,જયાં સ્થાનિકોએ રવિવારે તેઓ મતદાનથી અળગા રહેશે એ પ્રકારની જાહેરાત પણ કરી દીધી છે.નો રીપીટ થિયરી છતાં નરોડા અને અન્ય વોર્ડમાં જેમની સામે ગત ટર્મમાં ફરિયાદ થઈ હતી.તેવા ઉમેદવારોને પક્ષે ફરીથી ઉમેદવારી કરવાની તક આપી છે. આવા ઉમેદવારોને લઈ આ વખતના કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમા ખાસ કરીને અમદાવાદ પૂર્વના વોર્ડમાં ધારણા કરતા વિપરીત પરિણામ આવવાની સંભાવના ભાજપની જ નેતાગીરી વ્યકત કરી રહી છે.

કયા વોર્ડના પરિણામ અણધાર્યા આવી શકે?

ખાડીયા,દરિયાપુર,જમાલપુર, શાહપુર, બહેરામપુરા,ગોમતીપુર ઉપરાંત બાપુનગર, સરદારનગર, કુબેરનગર, સૈજપુર બોઘા, ઈન્ડિયાકોલોની, ઠકકરબાપાનગર, સરસપુર-રખિયાલ, નિકોલ,નરોડા અને રામોલ-હાથીજણ.