વડોદરા,આગ્રામાં રહેતા નિવૃત્ત આર્મીમેનનું કમાટીબાગના ફૂટપાથ પર બીમારીના કારણે અવસાન થયું હતું. જે અંગે સયાજીગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગઇકાલે રાત્રે આઠ વાગ્યે કમાટીબાગની બહાર ફૂટપાથ પરથી એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસને વૃદ્ધ પાસેથી મળેલા સામાનમાં એક પર્સ મળ્યું હતું. જેમાં મૃતકનું નામ સત્યપાલસિંગ તુકમાનસિંગ ચૌહાન, ઉં.વ.૭૨ (રહે. બાબરપુર, વિનાયકનગર, સિકંદરા, આગ્રા, યુ.પી.) હોવાનું જાણવા મળ્યું છે. મૃતક આર્મીમાં સિપાઇ તરીકે નોકરી કરતા હતા. પોલીસે તેમના પુત્રનો સંપર્ક કરી મૃતદેહ વડોદરા રહેતા સગાને સુપરત કર્યો છે. નિવૃત્ત આર્મીમેન વડોદરા કઇ રીતે આવ્યા, ઘરેથી ક્યારે નીકળ્યા હતા,તે અંગે મૃતકના સગાઓના નિવેદન પછી જાણી શકાશે.


