દહેગામમાં ડમ્પરોના વધતા ત્રાસ વચ્ચે રખિયાલ પાસે
છેલ્લા એક જ મહિનામાં પંથકમાં ડમ્પરોએ સર્જેલા અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યાં
દહેગામ શહેરમાંથી માતેલા સાંઢની જેમ નીકળતા ડમ્પરોને કારણે
રહીશો હેરાન થઈ રહ્યા છે અનેકવાર ફરિયાદ કરવા છતાં આ ડમ્પરોનો કોઈ નિવેડો આવતો નથી.
અવારનવાર તેના ચાલકો દ્વારા અકસ્માત સર્જવામાં આવી રહ્યો છે અને નિર્દોષોનો જીવ જઈ
રહ્યો છે તેમ છતાં ડમ્પરના ચાલકો સામે કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આ
સ્થિતિમાં આજે દહેગામ રખિયાલ હાઈવે ઉપર સંજય સોસાયટી પાસે વધુ એક ડમ્પરના ચાલક
દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને તેના કારણે આ યુવાનનું સ્થળ ઉપર જ મોત
થયું હતું. બાઈક ઉપર પસાર થઈ રહેલા યુવાનને ડમ્પરના ચાલકે હડફેટે લઈને ૧૦૦ મીટર
સુધી ઢસડયો હતો. ટાયર નીચે ચગદાઈ જતાં આ યુવાનનું મોત થયું હતું અકસ્માતની આ
ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ ડમ્પરના ચાલકને ઝડપી લીધો હતો. જો
કે તે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું પૂછપરછ કરતાં તેણે ગઈકાલે નશો કર્યો
હોવાની કબૂલાત પણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસમાં સ્થળ ઉપર આવી પહોંચી હતી અને
ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારમાં ડમ્પરોના કારણે
વધી રહેલી અકસ્માતની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં રોષ ખૂબ જ વધી ગયો છે અને આગામી
દિવસમાં આ ડમ્પરોનો ત્રાસ દૂર નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં
આવી હતી.


