માત્ર મહિલા સરપંચો માટેના પરિપત્રથી ઉહાપોહ : હવે જિલ્લા પંચાયતની ચૂંટણી આવનાર હોવાથી આ પરિપત્ર તો ભાજપના ઈશારે ગ્રામ પંચાયત કક્ષાએ દબાણ લાવવા માટેનો ફતવો છેઃ સાકરીયા : પહેલાં જિલ્લા-તાલુકા પંચાયત કચેરીથી અમલવારી કરાવવા અને મહિલા હોદ્દેદારો હસ્તકની અત્યાર સુધીની ફાઈલોમાં સહીની ચકાસણી કરવા માગણી
રાજકોટ, : રાજકોટ જિલ્લા પંચાયતમાં વર્તમાન ભાજપ સત્તાધીશોની મુદત હવે પૂર્ણ થઈ રહી છે અને ચૂંટણીલક્ષી નવા વર્ષના બજેટ સાથેની સામાન્ય સભાની તૈયારીનો ધમધમાટ ચાલુ કરી દીધો છે એવા જ સમયે ગઈકાલે ડીડીઓ તરફથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે, એકપણ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ કે સદસ્યના બદલે પતિ, પુત્ર કે સંબંધી વહીવટ સંભાળતા હોવાનું ધ્યાને આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જેના પગલે ભારે ઉહાપોહ મચી ગયો છે અને વિપક્ષને વિરોધનો મુદો મળી ગયો છે. આજે વિપક્ષે આક્ષેપો સાથે આક્રોશ ઠાલવ્યો કે, 'ખુદ રાજકોટ જિ. પંચાયતમાં મહિલા પ્રમુખને બદલે તેમના પતિ દરરોજ કચેરીએ આવે છે, એ તો નજર સામે જ હોવા છતાં કેમ આંખ આડા કાન કરવામાં આવે છે ? ખરી અમલવારી અહીંથી જ કરાવવી જોઈએ.
રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ આજે જિલ્લા વિકાસ અધિકારીના પરિપત્રની ઝાટકણી કાઢતા આક્રોશ ઠાલવ્યો કે, 'હવે જિલ્લા પંચાયતની ચૂંટણી આવનાર હોવાથી ભાજપના ઈશારે ગ્રામ પંચાયત કક્ષાએ દબાણ લાવવા માટે ફતવો બહાર પાડવામાં આવ્યો છે. અત્યાર સુધી બધાને ખબર જ છે કે રાજકારણમાં મોટાભાગના ચૂંટાયેલા મહિલા સદસ્યો-હોદેદારોની જગ્યાએ કોઈ વહીવટ સંભાળતા હોય છે. તો અત્યારે જ કેમ આવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો ? ખરેખર આ ગ્રામ્ય રાજકારણમાં ધાક જમાવવાનું ષડયંત્ર છે.
વધુમાં સવાલ ઉઠાવ્યો કે, 'રાજકોટ જિલ્લા પંચાયત કે અન્ય તાલુકા પંચાયતો માટે આવો પરિપત્ર કેમ બહાર પાડવામાં આવ્યો નહીં ? જિલ્લા પંચાયતમાં જ મહિલા પ્રમુખ સપ્તાહમાં એકાદ વખત માંડ આવે છે, બાકી તેમના પતિદેવ જ હાજર હોય છે. એ માટે સીસીટીવી ફૂટેજ સહિતની ચકાસણીથી પુરાવા મળી જશે. એ જ રીતે ઘણી બધી સમિતિના ચેરમેન મહિલાઓ છે, ત્યાં પણ વહીવટ કોણ કરે છે એની ગમે ત્યારે તપાસ કરવાની છૂટ છે. મોટાભાગે મહિલા સભ્ય ખુરશી પર હાજર હોતા જ નથી, તેમના 'પ્રતિનિધિ' જ બિરાજમાન હોય છે. ડીડીઓએ વધુ સજ્જડ પુરાવા જોઈતા હોય તો મહિલા હોદેદારો હસ્તકની અત્યાર સુધીની ફાઈલોમાં સહીની ચકાસણી કરાવી લેવી. પહેલા આ તરફ ધ્યાન આપીને પગલા ભરવા અને પછી તાલુકા અને ગ્રામ પંચાયત કક્ષાએ અમલવારી કરાવે તો પારદર્શક કામગીરી ગણાશે.'


