વડોદરાઃ વડોદરા જિલ્લામાં જંગી બહુમતી મળ્યા બાદ ભાજપના આગેવાનો હવે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પગલાં લેવા કાર્યવાહી હાથ ધરનાર છે.તો બીજીતરફ કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ,વિજયોત્સવ મનાવવાની સાથેસાથે વડોદરા જિલ્લા ભાજપમાં નિષ્ક્રિય રહેલા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરાનાર છે.
વડોદરા જિલ્લાના પ્રભારી ડો.રૃત્વિક પટેલે દરેક તાલુકાઓમાંથી પક્ષ વિરોધી કામો કરનારાના નામો તૈયાર રાખવા કહ્યું છે.આ ઉપરાંત માત્ર સંગઠનના હોદ્દા લઇને ચૂંટણીમાં કાર્યકરો વચ્ચે નહિ ગયેલા હોદ્દેદારોની પણ હકાલપટ્ટી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
ચૂંટણીના પરિણામો બાદ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને મહામંત્રીના રાજીનામા
બીજીતરફ વડોદરા જિલ્લામાં આજે ચૂંટણીના પરિણામો જાહેર થતાં કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જશપાલસિંહ પઢિયાર અને જિલ્લા કોંગ્રેસના સંગઠન મહામંત્રી અને લીગલ સેલના ચેરમેન હિતેન્દ્ર દેસાઇએ તેમના હોદ્દા પરથી રાજીનામા આપી દીધા છે.પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં બંને હોદ્દેદારોએ પરાજય માટેની જવાબદારી સ્વીકારી રાજીનામું સ્વીકારવા વિનંતી કરી છે.


