Get The App

ધર્મેશ ગમારા હત્યાકાંડ: ધંધુકામાં લોખંડી બંદોબસ્ત, 125 સામે ગુનો નોંધાયો; SIT ની રચના

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
ધર્મેશ ગમારા હત્યાકાંડ: ધંધુકામાં લોખંડી બંદોબસ્ત, 125 સામે ગુનો નોંધાયો; SIT ની રચના 1 - image

Dhandhuka Murder Case: અમદાવાદના ધંધુકામાં નજીવી બાબતે થયેલી યુવકની કરપીણ હત્યા બાદ ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસે હવે એક્શનમાં છે. હત્યાની ઘટનાથી ઉશ્કેરાઈને તોડફોડ અને આગચંપી કરી કાયદો હાથમાં લેનારા અંદાજે 125 જેટલા લોકો સામે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ, પીડિત પરિવારની માંગને પગલે અને સમગ્ર ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, આ હત્યાકાંડની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ માટે SITની રચના કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેથી દોષિતો સામે દાખલો બેસાડી શકાય તેવી કડક કાર્યવાહી કરી શકાય.

નજીવી બાબતે હત્યા કરી

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતમાં એક હિન્દુ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હત્યાની ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ શહેરમાં તોડફોડ અને આગચંપી કરતા પરિસ્થિતિ તંગ બની હતી. જોકે, પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને સમગ્ર ધંધુકામાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે અને હાલ શહેરમાં અજંપાભરી શાંતિ વચ્ચે જનજીવન સામાન્ય બની રહ્યું છે.

ભરવાડ સમાજ સમીરના ઘરે એકઠો થયો

ધંધુકામાં રહેતા 30 વર્ષીય ધર્મેશ ગમારા નામના યુવકનો સમીર નામના શખ્સ સાથે બાઈક ઓવરટેક કરવા મામલે ઝઘડો થયો હતો. આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ ભરવાડ સમાજના લોકો સમીરના ઘર પાસે એકઠા થયા હતા. આ માથાકૂટ દરમિયાન રિઝવાન નામના શખ્સે ધર્મેશ ગમારા પર છરી વડે હુમલો કરી દીધો હતો, જેમાં ધર્મેશનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો:સ્થાનિક ચૂંટણીમાં દાઉદ અને પાકિસ્તાનની એન્ટ્રી! ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજીમાં જનતાના મુદ્દા ભૂલાયા

લોકોના ટોળાએ આગચંપી કરી

હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. 100થી 125 લોકોના બેકાબૂ બનેલા ટોળાએ હાથમાં લાકડા અને ઘાતક હથિયારો સાથે દુકાનો, ગેરેજ, હોટેલો, લારીઓ અને વાહનોમાં ભારે તોડફોડ તથા આગચંપી કરી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે હત્યા કરનાર સમીર અને રિઝવાન સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત તોડફોડ કરનાર ટોળા સામે ધંધુકા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પીએસઆઈ હર્ષરાજસિંહ ઝાલા ખુદ ફરિયાદી બન્યા છે. આગજની અને તોડફોડ મામલે પોલીસે 25 લોકોની અટકાયત પણ કરી છે.

પોલીસે ઘરે ઘરે જઇને ચેકિંગ હાથ ધર્યું

આ ઘટનાને પગલે રેન્જ IG, અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટ સહિતનો મોટો કાફલો ધંધુકામાં ઉતારી દેવામાં આવ્યો છે. અમદાવાદ અને અન્ય જિલ્લાની પોલીસ ઉપરાંત SRPની હથિયારબંધ ટુકડીઓ પણ તહેનાત કરવામાં આવી છે. SP ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ આશરે 200 જેટલા પોલીસકર્મીઓએ રાત્રિભર સંવેદનશીલ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસે એક-એક ઘરમાં ચેકિંગ કરી ગુનાહિત ઈતિહાસ ધરાવતા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હતી. આ તપાસ દરમિયાન કેટલાક તીક્ષ્ણ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. શહેરના પ્રવેશ અને નિકાસ માર્ગો પર વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે અને અફવાઓ રોકવા સોશિયલ મીડિયા પર પોલીસની સાયબર ટીમ ચાંપતી નજર રાખી રહી છે.

SIT ની રચના

SP ઓમ પ્રકાશ જાટે મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે આ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SITને સોંપવામાં આવશે અને સરકાર તરફથી એક સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરાશે. વધુમાં, અસામાજિક તત્વોનો સફાયો કરવાના ભાગરૂપે તમામ સરકારી વિભાગોના સંકલનથી સર્વે કરી, નોટિસ ફટકારીને શહેરમાંથી તમામ ગેરકાયદેસર દબાણો અને સ્ટ્રક્ચર તોડી પાડવાની કામગીરી પણ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે.

SIT ને ઝડપી કાર્યવાહી કરવા આદેશ

ધંધુકામાં મૃતકને ન્યાય મળે અને સમગ્ર કેસની તપાસ નિષ્પક્ષ અને સચોટ રીતે થાય તે હેતુથી એક SITની રચના કરવામાં આવી છે. આ SITમાં DySP પ્રકાશ પ્રજાપતિ, PI રઘુ કરમટિયા, PI કરણ વિહોલ અને PSI એસ.એચ. ઝાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ સમગ્ર તપાસ પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે અને તપાસ કામગીરીની સમીક્ષા કરી દર અઠવાડિયે તેનો પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ કરશે, જેથી કેસમાં ઝડપી કાર્યવાહી થઈ શકે.

મોડીરાત્રે જ અંતિમ સંસ્કાર કરાયા

પોસ્ટમોર્ટમ બાદ ધર્મેશ ગમારાના મૃતદેહને તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. મૃતકના પરિવાર અને સમાજના આગેવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમનો આક્ષેપ છે કે, સમગ્ર ધંધુકામાં અસામાજિક તત્વો સામે અવાજ ઉઠાવનાર એકમાત્ર ભરવાડ સમાજ હોવાથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બે વર્ષ અગાઉ પણ આવી જ રીતે એક યુવકની હત્યા થઈ હતી. સમાજના આગેવાનોએ એકજૂથ થઈને દોષિતો સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહીની માંગ કરી છે.