Gujarat

જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે મિલ્કતોનું ડિમોલિશન

By GS TEAM
12 Jun 20262 mins read
જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે મિલ્કતોનું ડિમોલિશન

કુલ 13 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યાં

કરોડોની કિંમતની મિલ્કતો પર વહીવટી તંત્રની કાર્યવાહી

જામનગર: જામનગરના બેડી વિસ્તારમાં સાઇચા ગેંગ સાથે સંકળાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે આજે જિલ્લા તંત્ર દ્વારા સંયુક્ત ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ શહેર વિભાગની મામલતદાર કચેરી, પોલીસ વિભાગ તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ કુલ ૧૩ ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તોડી પાડવામાં આવેલા બાંધકામોની અંદાજિત કિંમત બે કરોડ રૂપિયામાં હોવાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા માળખાઓને દૂર કરવા માટે જરૂરી મશીનરી અને બુલડોઝરની મદદ લેવામાં આવી હતી.

ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા તથા અન્ય અધિકારીઓની હાજરીમાં સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને  સંબંધિત વિભાગો દ્વારા જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અને ચકાસણી પણ હાથ ધરવામાં આવી રહી છે.

- આઠ દિવસના રિમાન્ડ મંજૂર : ગુજસીટોક કેસમાં સાયચા ગેંગના વધુ ત્રણ સાગરીતોની જેલમાંથી ધરપકડ 

- કેસમાં 11 પૈકી 10 આરોપીઓની ધરપકડ, જેલમાં રહેલા  બાકીના એક આરોપીનો કબજો મેળવવા કાર્યવાહી

જામનગર: જામનગર શહેરમાં કુખ્યાત સાયચા ગેંગના ૧૧ શખ્સો સામે  ગુજસીટોક હેઠળના ગુનામાં પોલીસે વધુ ત્રણ આરોપીઓનો જેલમાંથી કબજો મેળવી તેમની ધરપકડ કરી છે. કોર્ટે તેમના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

બેડી વિસ્તારમાં સક્રિય સાયચા ગેંગના સભ્યો સામે ખંડણી, અપહરણ, હત્યા, હત્યાના પ્રયાસ, ફાયરિંગ, તોફાન અને બળજબરી સહિતના ૭૪ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. આ ગુનાઓના આધારે ગેંગના ૧૧ સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

તાજેતરમાં પોલીસે બસીર જુસબભાઈ સાયચા, સિકંદર નુરમામદભાઈ સાયચા અને રજાક નુરમામદભાઈ સાયચાનો જેલમાંથી કબજો મેળવી તેમની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓને રાજકોટ સ્થિત ગુજસીટોકની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં  આવતા આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જેલમાં રહેલા ઇમરાન નુરમામદભાઈ સાયચાનો કબજો મેળવવા માટેની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે.