Get The App

પ્રતાપનગર-જોબટ પેસેન્જર ટ્રેનમાં કોચ વધારવાની માગ : મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી DRUCC સભ્ય દ્વારા DRM ને રજુઆત

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
પ્રતાપનગર-જોબટ પેસેન્જર ટ્રેનમાં કોચ વધારવાની માગ : મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી DRUCC સભ્ય દ્વારા DRM ને રજુઆત 1 - image

Western Railway : પ્રતાપનગરથી જોબટ વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનમાં કોચની સંખ્યા વધારવાની માંગ ઉઠી છે. પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) સમક્ષ આ બાબતે રજુઆત કરવામાં આવી છે.

માહિતી મુજબ ટ્રેન નંબર 59123/59124 (પ્રતાપનગર–જોબટ–પ્રતાપનગર) હાલમાં માત્ર 12 કોચ સાથે કાર્યરત છે. આ રૂટ પર ડભોઈ, બોડેલી, પાવી જેતપુર, છોટા ઉદેપુર અને અલીરાજપુર જેવા મહત્વના સ્ટેશનો આવેલા હોવાથી મોટી સંખ્યામાં મુસાફરો આ ટ્રેનનો ઉપયોગ કરે છે.

 આ સમગ્ર વિસ્તાર આદિવાસી બહુલ વિસ્તાર હોવાને કારણે અહીંથી વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકો રોજિંદી અવરજવર માટે આ ટ્રેન પર નિર્ભર છે. પરંતુ છેલ્લા સમયમાં મુસાફરોની સંખ્યા સતત વધતા હાલના 12 કોચ પૂરતા સાબિત થતા નથી.

ખાસ કરીને વ્યસ્ત સમય દરમિયાન ટ્રેનના કોચોમાં ભારે ભીડ જોવા મળે છે. મુસાફરોને બેસવાની જગ્યા તો દૂર, ઘણીવાર ઉભા રહેવું પણ મુશ્કેલ બનતું હોવાનું મુસાફરોનું કહેવું છે.

 આ અંગે મોહમ્મદ હબીબ લોખંડવાલા (સભ્ય–DRUCC, વડોદરા મંડળ, પશ્ચિમ રેલ્વે) દ્વારા DRM સમક્ષ લેખિત રજૂઆત કરી ટ્રેનમાં તાત્કાલિક કોચ વધારવાની માંગ કરવામાં આવી છે.

 તેમણે જણાવ્યું હતું કે, ટ્રેનમાં વધારાના કોચ જોડવામાં આવશે તો મુસાફરોને બેસવાની યોગ્ય સુવિધા મળશે, મુસાફરી વધુ સુરક્ષિત અને આરામદાયક બનશે તેમજ રેલ્વેની આવકમાં પણ વધારો થશે.