Get The App

મહીસાગરના કોઠંબામાં સગી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી, હત્યા છુપાવવા મૃતદેહ તળાવમાં ફેંક્યો હતો

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
મહીસાગરના કોઠંબામાં સગી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી, હત્યા છુપાવવા મૃતદેહ તળાવમાં ફેંક્યો હતો 1 - image

Mahisagar News: મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનની ટીમે એક અત્યંત જટિલ અને ચકચારી હત્યાકાંડનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે. કમાલપુરના નાકા તળાવમાંથી મળી આવેલી મહિલાની લાશના ગુનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેમાં સગી દીકરીએ જ પ્રેમી સાથે મળી માતાની હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું છે. મૃતકની દીકરીએ પ્રેમ સંબંધમાં આડખીલી બનતી માતાની પ્રેમી અને અન્ય ચાર મિત્રો સાથે મળી હત્યા નીપજાવી છે. સમગ્ર મામલે પોલીસે દીકરી સહિત 6ની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.

આ ગુનાની પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક પિન્કીબેન બારીયાએ પોતાની દીકરીનું લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યું હતું. જોકે, દીકરીને કમલેશ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી આ લગ્ન તેને મંજૂર નહોતા. કમલેશે અગાઉ આ લગ્નમાં વિઘ્ન ઊભું કરી લગ્ન તોડાવ્યા હતા. લગ્ન બાબતે ચાલી રહેલી તકરારમાં દીકરીએ પોતાની માતાને રસ્તાનો કાંટો સમજી તેને હટાવવા માટે પોતાના પ્રેમી કમલેશને ઉશ્કેરણી કરી હતી. હત્યાને અંજામ આપવા માટે દીકરી, તેનો પ્રેમી કમલેશ, અન્ય મિત્રો અને ખુદ મૃતક મહિલાના પ્રેમી જયેશે ભેગા મળી ગુનાહિત કાવતરું રચ્યું હતું.

શું હતો સમગ્ર મામલો?

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, પંચમહાલના શહેરા તાલુકાના નવા ખાંધવા ગામના પિન્કીબેન વિક્રમભાઈ બારીયા વિધવા હતા. પિન્કીબેને તેમની દીકરીના લગ્ન ધારાપુર ખાતે નક્કી કર્યા હતા, પરંતુ દીકરીને ગામના જ કમલેશ સાથે પ્રેમ સંબંધ હોવાથી તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જોકે, પિન્કીબેને દીકરીને નક્કી કરેલા જગ્યાએ જ લગ્ન કરવા દબાણ કરતા અંતે દીકરીએ પ્રેમી કમલેશને માતાને રસ્તામાંથી હટાવી દેવા કહ્યું હતું. આ પછી કમલેશે તેના સાથી મિત્રો તથા મૃતક મહિલાના પ્રેમી જયેશભાઈ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં ઘટનાની રાત્રે જયેશે પિન્કીબેનને બાજરીના ખેતરમાં બોલાવ્યા બાદ અગાઉથી નક્કી કર્યા મુજબ ખેતરમાં હાજર સાથી મિત્રોમાંથી એક મિત્રની બુટની દોરી કાઢી ગળે મહિલાને ટૂંપો આપી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મોટર સાયકલ મારફતે મૃતદેહને મહીસાગરના કોઠંબા તાલુકાના કમાલપુર ખાતે આવેલા નાકા તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જો કે, તળાવમાંથી લાશ મળતાં ધામણીયાના ઉપસરપંચે કોઠંબા પોલીસને જાણ કરી હતી. 

આ પણ વાંચો: ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી

સમગ્ર મામલે કોઠંબા પોલીસ હરકતમાં આવી હતી. જેમં પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કડીઓ જોડી હતી. સઘન તપાસના અંતે પોલીસે મૃતકની દીકરી અને તેના પ્રેમી સહિતના તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.