Get The App

સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ

રોજ ૩૦૦ લોકો ટ્રેક ક્રોસ કરે છે, પોલીસના દંડ અને જાગૃતિ અભિયાન છતાં મારે કંઈ નહીં થાય માનસિકતા હાવી

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
સમય બચાવવાની લ્હાયમાં ફૂટઓવરબ્રિજ હોવા છતાં રેલવે ટ્રેક પર શોર્ટકટનો ખતરનાક ટ્રેન્ડ 1 - image

વડોદરા વિભાગના મોટાભાગના રેલવે સ્ટેશનો પર ફૂટઓવરબ્રિજ, સબ-વે અને રેમ્પ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં અનેક મુસાફરો રોજિંદા જીવનમાં શોર્ટકટ માટે સીધા પાટા પરથી પસાર થવાનું જોખમ ખેડી રહ્યા છે.

અનુમાન મુજબ વડોદરા વિભાગના વિવિધ સ્ટેશનો પર રોજ અંદાજે ૩૦૦થી વધુ લોકો ટ્રેક પરથી શોર્ટકટ લે છે. સ્ટેશનો પર ભીડ, પીક અવર્સમાં ટ્રેન પકડવાની ચિંતા અને પ્લેટફોર્મ પર વધતા દબાણને કારણે મુસાફરો ટ્રેક પરથી પસાર થવાનું પસંદ કરે છે. ઘણા મુસાફરોનું માનવું છે કે, ફૂટઓવરબ્રિજલાંબો હોવાથી સમય વધુ લાગે છે, તેથી તેઓ સીધો રસ્તો અપનાવે છે.

ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં મારે કંઈ નહીં થાય તેવી માનસિકતા છે. ટ્રેન ચૂકી જશે તો કામ કે કોલેજ મોડું થઈ જશે, એ વિચારે લોકો જોખમ ખેડે છે. સમય બચાવવાની દોડમાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે. રેલવે સ્ટેશનો પર કેટલાક સ્ટોલ કર્મચારીઓ પણ આવી બેદરકારી દાખવતા નજરે ચડે છે.

આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા ઝુંબેશ અંતર્ગત દંડાત્મક કાર્યવાહી અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે, છતાં લોકલ માનસિકતા બદલવી સૌથી મોટો પડકાર બની રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રેક પરથી પસાર થવું માત્ર નિયમ ભંગ નથી, પરંતુ સીધી જાનહાનિનું જોખમ છે. ફક્ત દંડ પૂરતો નથી, માનસિકતા બદલવી જરૂરી છે.

ટ્રેન વ્યવસ્થા આધુનિક અને સુરક્ષિત બની રહી છે, પરંતુ લોકલ માનસિકતા અને કેટલીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખામીઓ ટ્રેક ક્રોસિંગને જોખમી બનાવે છે. સુરક્ષા બળોની સંખ્યા મર્યાદિત હોવાને કારણે દરેક સતત દેખરેખ રાખવી મુશ્કેલ બને છે.

અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં યોજાયેલ ડી.આર.યુ.સી.સી.ની બેઠકમાં ડી. આર.એમ સમક્ષ કિમ, કોસંબા, અંકલેશ્વર અને ભરુચ સ્ટેશનો પર મુસાફરો સીધા ટ્રેક પાર નકરે તે માટે ગ્રિલ લગાવવાની માગ ઉઠી હતી.


રેલવે લાઈન ઓળંગતા ૨૭૩ સામે કાર્યવાહી

આરપીએફ દ્વારા સંધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા છ મહિનામાં ટ્રેક ઓળંગતા ૨૭૩ લોકો સામે કેસ નોંધાયા છે.આમાંથી ૧૮૮ મુસાફરોને કોર્ટમાં રજૂ કરી કુલ રૂ. ૨૪ હજાર દંડ વસૂલવામાં આવ્યો છે.


છ મહિનામાં ટ્રેન અકસ્માતમાં ૩૯નાં મોત

ગુજરાત રેલવે પોલીસ સ્ટેશને નોંધાયેલા આંકડા મુજબ છેલ્લા છ મહિનામાં ટ્રેન અકસ્માત સંબંધિત બનાવોમાં ૩૯ લોકોના મોત થયા છે. મોત સિવાય ટ્રેન અકસ્માતમાં ગંભીર ઈજાના બનાવો પણ નોંધાયા છે.


રહેણાંક વિસ્તારમાં ટ્રેક ઓળંગવો સામાન્ય બાબત

રેલવે ટ્રેક પાસે તૂટેલી વાડ, ગેરકાયદેસર રસ્તાઓ અને અપૂરતી દેખરેખ ટ્રેક ક્રોસિંગને પ્રોત્સાહન આપી રહી છે. પરશુરામ ભઠ્ઠા, અકોટા, રણોલી, વિશ્વામિત્રી જેવા રહેણાંક વિસ્તારોમાંથી રેલવે ટ્રેક પસાર થતો હોય લોકો માટે ટ્રેક ઓળંગવો સામાન્ય બાબત છે.