Dang News: મહેસાણા, વડોદરા બાદ હવે ડાંગ જિલ્લાના બરડીપાડાથી મહાલ વચ્ચેના રોડ પર એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. પશ્ચિમ બંગાળની નંબર પ્લેટવાળી એક પીક અપ કાર મોટા વળાંક પર કાબૂ ગુમાવતાં પલટી મારી ગઈ હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે ઈજાગ્રસ્ત 10 વ્યક્તિઓમાંથી એકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
3 લોકોના મોત, 9 ઇજાગ્રસ્ત
મોટા વળાંક પર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો, જેમાં કુલ 3 લોકોના મોત થયા છે જ્યારે ઈજાગ્રસ્ત 9 લોકો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતથી જાણ 108 અને પોલીસને કરવામાં આવતા બંને ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડયા છે. પ્રાથમિક માહિતી મુજબ તીવ્ર વળાંક પર પીક અપ કારની ઓવર સ્પીડ હતી જે કારણે ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો.
મહેસાણામાં ગમખ્વાર અકસ્માત
બીજી તરફ મહેસાણા-ઊંઝા હાઈવે પર આજે વહેલી સવારે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. લગ્ન પ્રસંગમાં હાજરી આપીને મોં પર ખુશીઓ સાથે ઘરે પરત ફરી રહેલા અમદાવાદના એક પરિવારને નિયતિએ ઘરના આંગણે પહોંચતા પહેલા જ છીનવી લીધો હતો. મૂળ રાજસ્થાનના પાલીના વતની આ પરિવારના સભ્યો વતનમાં એક લગ્ન પ્રસંગ માણીને નવી આશાઓ અને યાદો સાથે અમદાવાદ પરત ફરી રહ્યા હતા. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. ઉનાવા હાઈવે પર તેમની ઈકો કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે અથડાતા આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત અને 6 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતના વિવિધ બે બનાવમાં બે યુવકના મોત
વડોદરા શહેર-જિલ્લામાં વાહન અકસ્માતના વિવિધ બે બનાવમાં બે વ્યક્તિના કરુણ મોત નીપજયા હતા. બંને મૃતકોની લાશ કોલ્ડ રૂમમાં મુકાવી પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, શહેર નજીકના સોખડા ગામથી પાદરા તરફ એસટી બસ હંકારીને ચાલક નરેન્દ્ર મેરૂભાઈ રાઠોડ (રહે. જામજોધપુર) શહેર નજીકના મોભા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પાદરા તરફ હંકારીને સમી સાંજે પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવેલા એક્ટીવા ચાલકનું મોપેડ બસની ખાલી બાજુએ પાછળની સાઈડ પર જોરદાર ધડાકા સાથે ભટકાયું હતું જેથી એકટીવા ચાલક મેલાભાઈ ચીમનભાઈ માળી (રહે. સંજય નગર સોસાયટી, લતીપુરા રોડ, પાદરા) ને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. પરિણામે લોહી લુહાણ એકટીવા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજતા એસટી બસ ચાલકે બનાવ અંગે વડુ પોલીસ મથકે જાણ કરી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર': 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, મામલો હાઈકોર્ટ પહોંચ્યો


