મગરના હુમલાના કારણે ગ્રામજનોમાં ભય : નદીમાંથી મૃતદેહ બહાર કાઢવા JCBની મદદ લેવી પડી : મગરને પકડવા વન તંત્ર દ્વારા નદીકાંઠે 3 પાંજરાં મુકાયાં
ગડું, : ચોરવાડ તાબેના ખોરાસાની સીમમાં એક મહિલા વાડી નજીક આવેલી નદીમાં વાસણ સાફ કરવા ગયા ત્યારે અચાનક મગરે તેના પર હુમલો કરી તેઓને ફાડી ખાતા અરેરાટી સાથે ભય ફેલાયો હતો. મૃતદેહ બહાર કાઢવા જેસીબીની મદદ લેવી પડી હતી. આ અંગે જાણ થતા વનવિભાગના સ્ટાફે ઘટનાસ્થળે જઈ મગરને પકડવા નદી કાંઠે ત્રણ પાંજરા મુક્યા હતા.
આ અંગેની વધુ વિગત મુજબ ખોરાસા ગીરમાં રહેતા બેનાબેન ઉકાભાઈ સેવરા (ઉ.વ. 59) ગઈકાલે તેઓની વાડીએ હતા તેના ખેતરની નજીક કાલીન્દ્રી નદી આવેલી છે. બપોરે બારેક વાગ્યા આસપાસ બેનાબેન નદીમાં વાસણ સાફ કરવા ગયા હતા ત્યારે નદીમાંથી અચાનક આવેલો મગર બેનાબેન પર હુમલો કરી નદીની અંદર ખેંચી ગયો હતો. બેનાબેન પરત ન આવતા પરિવારજનોએ તપાસ કરી હતી. નદી કાંઠે વાસણ મળ્યા હતા આથી આ અંગે ગ્રામજનોને જાણ કરવામાં આવતા સરપંચ શૈલેષભાઈ સહિતના આગેવાનો અને ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા. વનવિભાગનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બાદમાં બેનાબેનની જેસીબીની મદદથી શોધખોળ કરતા તેઓનો મૃતદેહ જ મળી આવ્યો હતો. મૃતદેહને પી.એમ. માટે ચોરવાડ ખસેડાયો હતો. વાસણ સાફ કરવા ગયેલા મહિલાને મગરે ફાડી ખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. વનવિભાગ દ્વારા નદી કાંઠા પર ત્રણ પાંજરા મુકવામાં આવ્યા છે અને લોકોને નદી આસપાસ ન જવા અને સાવચેતી રાખવા જણાવ્યું છે.


