Get The App

વડોદરા ચકચારી ગોરવા મર્ડર કેસ: CCTV ફૂટેજ અને સાક્ષીઓને કારણે હત્યારાની જામીન અરજી નામંજૂર

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા ચકચારી ગોરવા મર્ડર કેસ: CCTV ફૂટેજ અને સાક્ષીઓને કારણે હત્યારાની જામીન અરજી નામંજૂર 1 - image

વડોદરા : ગોરવા વિસ્તારમાં નજીવી બાબતે ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજી નામંજૂર કરી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, ગુનાની ભયાનકતા અને પ્રત્યક્ષદર્શી પુત્ર તેમજ અન્ય પુરાવા જોતાં આરોપી કોઈ પણ સંજોગોમાં જામીનને પાત્ર નથી.

બનાવની વિગત એવી છે કે, તા. 23  ફેબ્રુઆરી 2026ના રોજ નૂરાની મસ્જિદ ચાર રસ્તા પાસે મૃતક અમીઝભાઇ અને આરોપી સોહેલ રાણા અને સંદીપ વાઘેલાને કોઈ કારણસર ઝઘડો થયો હતો. ત્યારબાદ ગોરવા ગેટ પાસે બંને આરોપીઓએ મોટરસાયકલ પર આવી અમીઝભાઇને રોક્યા હતા અને સંદીપ વાઘેલાએ લાકડાના ડંડા વડે તેમના માથામાં ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર આરિફે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં હાલ જેલમાં રહેલા આરોપી સંદીપ ઉર્ફે રણજીતસિંહ (મોલેસલામ ગરાસિયા)એ રેગ્યુલર જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી મુખ્ય સૂત્રધાર છે અને તેની સામે સીસીટીવી ફૂટેજ તથા પાંચથી વધુ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓની મજબૂત કડીઓ છે.

માથાની ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનો તબીબી પુરાવો પણ રજૂ કરાયો હતો. ન્યાયાધીશે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદાર સંદીપ વાઘેલાની જામીન અરજી નામંજૂર કરી હતી અને ચુકાદામાં નોંધ્યું હતું કે, પી.એમ. રિપોર્ટ પ્રમાણે મૃતકના શરીર પર 12 જેટલી ઈજાઓ હતી અને મોત હેમરેજના કારણે થયું છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે હુમલો જાનથી મારી નાખવાના ઈરાદાથી જ કરવામાં આવ્યો હતો.