Gujarat

જામીન પર છુટી ગાયબ થઇ ગયેલા બે લૂંટારાને કોર્ટે ફરાર જાહેર કર્યા

By GS TEAM
1 May 20262 mins read
જામીન પર છુટી ગાયબ થઇ ગયેલા બે લૂંટારાને કોર્ટે  ફરાર જાહેર કર્યા

વડોદરા : પાંચ વર્ષ પહેલા કરજણ હાઇવે પર સુરતના જમીન દલાલના પરિવારને બંધક બનાવી છરી તેમજ એરગનની અણીએ રૃા.૬ લાખની લૂંટ ચલાવવાના ચકચારી બનાવમાં જામીન પર મુક્ત થયા બાદ ગાયબ થઇ ગયેલા બન્ને લૂંટારાને કરજણ કોર્ટે ફરાર જાહેર કર્યાં હતા.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,આરોપીઓ જાણી જોઈને કાયદાની પ્રક્રિયાથી બચી રહ્યાં છે ત્યારે આરોપીઓની ગેરહાજરીમાં પણ ફરિયાદી અને સાક્ષીના નિવેદન નોંધીને પુરાવા સુરક્ષિત કરવામાં આવે અને બન્ને આરોપી સામે કરજણ પોલીસ અલગથી ગુનો દાખલ કરે.

કેસની વિગત એવી છે કે, તા. ૧૭ માર્ચ ૨૦૨૧ના રોજ સુરતમાં રહેતા અને જમીનની લે-વેંચનું કામ કરતા સંદીપભાઈ તેમના પરિવાર સાથે ઇનોવા કારમાં વતન જઈ રહ્યા હતા. સાંજના સમયે કરજણ પાસે કંડારી ગામની સીમમાં તેમણે કુદરતી હાજતે જવા માટે કાર ઉભી રાખતા બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. લૂંટારા કારમાં બેસી ગયા હતા અને પરિવારને બંધક બનાવી કાર કાચા રસ્તા પર લઇ ગયા હતા અને તેમણે એરગન અને ચપ્પાની અણીએ સંદીપભાઈ, તેમના પત્ની અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી સોનાની ચેન, વીંટીઓ અને લક્કી સહિત કુલ ૧૦ તોલા દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૃા. ૬,૦૭,૫૦૦ની લૂંટ ચલાવી હતી અને ત્યાર બાન્બન્ને લૂંટારા બાઇક પર ફરાર થઇ ગયા હતા.

આ બનાવની ફરિયાદ જે તે સમયે કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને પોલીસે ધાડ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી બનવામાં સંડોવાયેલા શ્રવણ રમેશભાઇ ઓડ અને અશોક રમેશભાઇ ઓડની ધરપકડ કરી હતી. આ ગુનામાં ચાર્જશીટ દાખલ થયા બાદ  બન્ને આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા અને ત્યાર બાદ તેઓ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન સતત ગેરહાજર રહેતા હતા. આરોપીઓ સતત ગેરહાજર રહેતા હોય તેમની સામે વારંવાર નોન-બેલેબલ વોરંટ કાઢવા છતાં પોલીસ તેમને શોધી શકી ન હતી એટલે આખરે અદાલતે આ બન્ને આરોપીને ફરાર જાહેર કર્યા છે.

ચૂકાદામાં ન્યાયાધીશે એક જામીનદાર પાસેથી રૃા. ૧૫,૦૦૦ની વસૂલાત કરવાનો અને અને અન્ય એક મૃત જામીદારના વારસદારોને આરોપીને હાજર કરવા આદેશ આપ્યો હતો. ચૂકાદમાં ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું છે કે,આરોપીઓની ગેરહાજરીમાં પણ ફરિયાદી અને સાક્ષીના નિવેદન નોંધીને પુરાવા સુરક્ષિત કરવામાં આવે. આ ઉપરાંત, કરજણ પીઆઈને આદેશ અપાયો છે કે આરોપીઓ વિરુદ્ધ અલગથી ગુનો નોંધીને તેમની તસવીરો અને ઓળખ ચિન્હો સાથે ન્યૂઝ પેપરમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે. કોર્ટે મૂળ ફરિયાદીને પણ આરપીએડી દ્વારા નોટિસ મોકલી પુરાવા આપવા માટે હાજર રહેવા જણાવ્યું છે.