Get The App

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ : 63 બેઠકો માટે આવતીકાલે મતદાન, તંત્ર સંપૂર્ણ સજ્જ

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ : 63 બેઠકો માટે આવતીકાલે મતદાન, તંત્ર સંપૂર્ણ સજ્જ 1 - image

Jamnagar Corporation Elections : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક બેઠક બીનહરીફ જાહેર થયા બાદ બાકીની 63 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. શહેરમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે, અને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. શહેરમાં કુલ 416 મતદાન મથકો (બૂથ) ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં સુરક્ષા તથા અન્ય સુવિધાઓની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ ચૂંટણીમાં કુલ 4,42,841 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 2,27,364 પુરુષ મતદારો, 2,15,465 સ્ત્રી મતદારો અને 12 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 203 સંવેદનશીલ મતદાન મથકો : જ્યારે 6 અતિ સંવેદનશીલ મતદાન મથકો

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન પ્રક્રિયા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પ્રશાસન દ્વારા મતદાન મથકોનું સંવેદનશીલતા આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં કુલ 416 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી 213 મતદાન મથકોને સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે, અને આ માટે કુલ 87 લોકેશન નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 6 મતદાન મથકોને અતિ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે, જેના માટે 3 લોકેશન રાખવામાં આવ્યા છે. 

તે જ રીતે, સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 15 મતદાન મથકો સંવેદનશીલ તરીકે ગણવામાં આવ્યા છે, જેમાંથી 7 લોકેશન નિર્ધારિત કરવામાં આવ્યા છે.

 જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ 1150 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાંથી 439 મતદાન મથકોને સંવેદનશીલ ગણવામાં આવ્યા છે, અને તેના માટે 233 લોકેશન નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે 44 મતદાન મથકોને અતિ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે, જેના માટે 22 લોકેશન નિર્ધારિત કરવામાં આવ્યા છે.

 આ સમગ્ર વ્યવસ્થાથી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં સહાય મળશે અને મતદારો નિર્ભય રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.