Gujarat

વડોદરા: તહેવારોમાં ખરીદીની ભારે ભીડ બાદ કોરોનાના વધતા કેસો: ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં પણ વધારો

By GS Team
2 Nov 20212 mins read
This article was originally published on 2 Nov 2021
વડોદરા: તહેવારોમાં ખરીદીની ભારે ભીડ બાદ કોરોનાના વધતા કેસો: ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં પણ વધારો

વડોદરા,તા.2 નવેમ્બર 2021,મંગળવાર

તહેવારો વચ્ચે ધીમી ગતિએ કાતિલ કોરોના પગપેસારો કરી રહ્યો છે. દિનપ્રતિદિન સતત કોરોના પોઝિટિવ દર્દીમાં વધારો થતાં તંત્ર પણ સાબદુ બન્યું છે. તો બીજી તરફ ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના દર્દીઓથી દવાખાના ઉભરાતા તંત્ર માટે બેવડી આફતનો સામનો કરવાનો વારો આવ્યો છે. જોકે આ વચ્ચે આવેલા તહેવારોમાં ખરીદી અર્થે ઉમટેલી નગરજનોની ભીડ આગામી દિવસોમાં મહામારીને નોતરું આપી શકે છે. કારણકે 21 ઓક્ટોબરએ વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા હતી. જ્યારે હાલમાં 34 સુધી પહોંચી ગઈ છે. જે ખરેખર ચિંતાની બાબત છે. ત્યારે નગરજનોએ પણ આ અંગે સાવધ થવું જરૂરી છે.

સોમવારે કોરોના પોઝિટિવ નવી છ દર્દી સામે આવી છે. આ સાથે કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 34 ઉપર પહોંચી છે. 33 દર્દીઓની પરિસ્થિતિ સામાન્ય છે. જ્યારે 01 દર્દી વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે. આ ઉપરાંત 35 દર્દી હોમક્વોરન્ટાઈન હેઠળ સારવાર લઇ રહ્યા છે. ધીમી ગતિએ જીવલેણ કોરોનાનો વ્યાપ શહેરમાં ચિંતાજનક પ્રસરી રહ્યો છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાની 180 ટિમો દ્વારા ડોર ટુ ડોર સર્વે અભિયાન હાથ ધરી નાગરિકોના બ્લડ સેમ્પલ મેળવી ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સોમવારે ડેન્ગ્યુના 22 દર્દી અને ચિકનગુનિયાના 34 દર્દી સામે આવ્યા છે. ઉપરોક્ત દર્દીઓ પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારના છે. આમ રોગચાળો પણ સમગ્ર શહેરમાં ચિંતાજનક પ્રસર્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે જે પ્રમાણે બજારમાં ભીડ ઉમટી રહી છે. તે આવનારા દિવસોમાં ગંભીર પણ બની શકે છે. કારણકે પ્રતિદિન જે પ્રકારે કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહી છે. તે જોતા હવે રાત્રી કર્ફયુની સમય મર્યાદા પણ વધી શકે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં. હાલમાં તંત્ર આ પરિસ્થિતિને લઈ સજ્જ બન્યું છે અને જરૂરી સુવિધા તાત્કાલિક ધોરણે ઊભી કરી રહ્યું છે. વિદેશમાં કોરોનાના નવા સ્વરૂપથી શરૂ થયેલા અત્યંત ઝડપી સંક્રમણ તેમજ  લોકડાઉનનાં કારણે ભારતમાં પણ કોરોનાના નવા રૂપની સામે લડવા સરકાર એલર્ટ બની છે