Vadodara : વડોદરા શહેરના છેવાડે આવેલા ઊંડેરા ગામના ફાર્મ હાઉસમાં ડ્રેનેજ લાઈન ગેરકાયદે નાખી હોવાના આક્ષેપો થતા પાલિકા તંત્ર દ્વારા ફાર્મ હાઉસ માલિકને નોટિસ ફટકારવા છતાં તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઈનને સીલ નહિં મારવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી સામાજિક કાર્યકરે આપી હતી.
ઉંડેરા ગામમાં અનેક પાર્ટી પ્લોટ આવેલા છે. આ તમામ પાર્ટી પ્લોટમાં કાયદેસર રીતે ડ્રેનેજ-પાણીના જોડાણો આપવામાં આવ્યા છે. પરંતુ ગામના જયશ્રી ફાર્મ હાઉસમાં તદ્દન ગેરકાયદે રીતે જેને જ લાઈનનું જોડાણ કરી દેવાયાના આક્ષેપો સામાજિક કાર્યકર સાબીર ચૌહાણે કર્યા હતા. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ ગરીબ વ્યક્તિ દ્વારા પાણી-ડ્રેનેજના ગેરકાયદે કનેક્શન જોડવામાં આવે છે તો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સીલ મારવામાં આવે છે. પરંતુ આ પાર્ટી પ્લોટ બાબતે તંત્રને જાણ કરાઈ હતી. છતાં પણ તંત્રના અધિકારીઓ દ્વારા માત્ર નોટિસ પાઠવીને સંતોષ માનવામાં આવ્યો હતો. જો આ અંગે આગામી 24 કલાકમાં સીલ મારવામાં નહીં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ સામાજિક કાર્યકરે આપી હતી.


