Get The App

મ્યુનિ.ચૂંટણી અગાઉ વિવાદ છેડાયો , ચાંદલોડીયામાં રોડ પહોળો કરવા એક હજાર રહેણાંકમાં કપાત આવશે

આર્ય સમાજ રોડ ઉપર મ્યુનિ.તંત્ર દ્વારા કપાત મામલે ડિમાર્કેશન પણ કરાયુ છે

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
મ્યુનિ.ચૂંટણી અગાઉ વિવાદ છેડાયો , ચાંદલોડીયામાં રોડ પહોળો કરવા એક હજાર રહેણાંકમાં કપાત આવશે 1 - image

     

  અમદાવાદ,બુધવાર,8 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અગાઉ ચાંદલોડીયા વોર્ડમાં રોડ પહોળો કરવાનો વિવાદ સામે આવ્યો છે. વોર્ડમાં આવેલા આર્યસમાજ રોડ ઉપર વર્ષોથી વસવાટ કરતા રહીશોના એક હજાર રહેણાંકમાં કપાત આવવાની સંભાવના છે. આર્યસમાજ રોડ ઉપર કોર્પોરેશન દ્વારા રોડ પહોળો કરવા મામલે ત્રણ મહિના પહેલા ડિમાર્કેશનની કામગીરી પણ પુરી કરાઈ છે. વર્ષોથી રહેતા રહીશોએ  રોડ પહોળો કરવાની કામગીરીમા ઓછી કપાત કરવા અથવા વૈક્લ્પિક સગવડ આપવા રજુઆત કરી છે.

૨૬ એપ્રિલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ અગાઉ ચાંદલોડીયા વોર્ડમાં નગર પંચાયતના સમયથી રહેતા લોકોના એક હજાર મકાનમાં રોડ કપાત આવવાની હોવાથી રહીશોમા રોષ જોવા મળી રહયો છે. રહીશોના કહેવા પ્રમાણે, કપાતમા અમારા મકાન જશે તો અમે કયાં જઈશુ.જે તે સમયે ઔડા હસ્તક આ વિસ્તાર હતો.જે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં આ વિસ્તારનો સમાવેશ કરવામા આવ્યો હતો. આ વોર્ડના પૂર્વ કોર્પોરેટરના કહેવા પ્રમાણે, ટી.પી.બન્યા પછી આ વિસ્તારમાં રોડ પહોળો કરવાની કાર્યવાહીને લઈ કોર્પોરેશન અને રેલવે બંને દ્વારા ડિમાર્કેશન કરવામા આવ્યુ છે. અમે રજુઆત કરી છે કે, બને એટલી ઓછી કપાત કરવામા આવે.જેથી વર્ષોથી રહેતા લોકોના ઘર બચાવી શકાય.